ગીર વિસ્તારમાં સંક્રમણથી સિંહોના મોત બાદ 500 સિંહોને આપી ડીવોર્મિંગ સારવાર: અર્જુન મોઢવાડિયા



ગીર વિસ્તારમાં સંક્રમણથી સિંહોના મોત બાદ 500 સિંહોને આપી ડીવોર્મિંગ સારવાર: અર્જુન મોઢવાડિયા



Arjun Modhwadia: ગીર વિસ્તારમાં એશિયાટિક સિંહોના શંકાસ્પદ ચેપજન્ય રોગથી થયેલા મોત બાદ ગુજરાત વન વિભાગે રોગ નિયંત્રણ માટે વિશેષ અભિયાન શરૂ કર્યું છે. રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત બાદ જણાવ્યું હતું કે, ગીર પરિક્ષેત્રમાં અંદાજે 500 એશિયાટિક સિંહોને ડીવોર્મિંગ (કૃમિનાશક) દવા આપવામાં આવી છે.
મંત્રીએ જણાવ્યું કે, સિંહોમાં રોગનો ફેલાવો અટકાવવા અને તેમના સ્વાસ્થ્ય પર સતત નજર રાખવા માટે વન વિભાગ દ્વારા વિશેષ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે અને જરૂરી સારવાર તેમજ બચાવના પગલાં લેવામાં આવી રહ્યા છે. અર્જુન મોઢવાડિયાએ જામવાળા રેસ્ક્યૂ સેન્ટર, બાબરિયા જંગલ વિસ્તાર અને જસાધર એનિમલ કેર સેન્ટરની મુલાકાત લઈને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. અહીં પશુચિકિત્સકોની ટીમો રોગના લક્ષણો દર્શાવતા સિંહો પર સતત નજર રાખી રહી છે.
તેમણે જણાવ્યું કે, હાલમાં 17 સિંહોને અલગ-અલગ સ્થળોએ નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે અને છેલ્લા ત્રણ દિવસ દરમિયાન ચેપને કારણે કોઈ નવા મોત નોંધાયા નથી. મંત્રીએ વધુમાં જણાવ્યું કે, પશુચિકિત્સકોની ટીમો સતત કાર્યરત છે અને લગભગ 500 સિંહો માટે ડીવોર્મિંગ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. આ ઉપરાંત આસપાસના વિસ્તારોમાં રહેતા સિંહો અને સિંહોના જૂથો પર પણ સાવચેતીના ભાગરૂપે નજર રાખવામાં આવી રહી છે.
મોઢવાડિયાના જણાવ્યા મુજબ, વન વિભાગે 19 મેથી જ બચાવના પગલાં શરૂ કરી દીધા હતા. જો કે, ઘટનાની જાણ 28 મેના રોજ થઈ હતી, પરંતુ તે પહેલાંથી જ જરૂરી તકેદારીના પગલાં લેવામાં આવ્યા હતા. આ સમયસરની કામગીરીને કારણે હાલ સ્થિતિ લગભગ સંપૂર્ણપણે નિયંત્રણમાં હોવાનું તેમણે જણાવ્યું હતું.
આ શંકાસ્પદ રોગના કારણે અત્યાર સુધીમાં 8 સિંહોના મોત નોંધાયા છે. જો કે, છેલ્લા ત્રણ દિવસમાં કોઈ નવા મોત નોંધાયા નથી. મોતની ઘટનાઓ મુખ્યત્વે ગીર અભ્યારણ્યની બહાર આવેલા ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા અને અમરેલી જિલ્લાના બાબરિયા વિસ્તારમાં નોંધાઈ હતી.
વન વિભાગે અસરગ્રસ્ત વિસ્તારોની 10 કિલોમીટરની ત્રિજ્યામાં સિંહોને અલગ રાખવાની કામગીરી શરૂ કરી છે. આ સાથે જ મોટાપાયે એન્ટી-ટિક સારવાર અને મોનિટરિંગ અભિયાન પણ હાથ ધરાયું છે. અસરગ્રસ્ત પ્રાણીઓ પાસેથી લેવામાં આવેલા સેમ્પલને રોગના ચોક્કસ કારણની પુષ્ટિ માટે ગુજરાત બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટર ખાતે મોકલવામાં આવ્યા છે.
જૂનાગઢ વેટરનરી કોલેજના નિષ્ણાતો અને ઇન્ડિયન વેટરનરી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (IVRI)ના વિશેષજ્ઞો તપાસ અને સારવારમાં સહયોગ આપી રહ્યા છે. પ્રાથમિક તપાસમાં બેબેસિયોસિસ (Babesiosis) નામના પરોપજીવી રોગની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ રોગ લાલ રક્તકણો પર હુમલો કરે છે અને પ્રાણીઓમાં નબળાઈ, શ્વાસ લેવામાં તકલીફ તેમજ ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ ઊભી કરી શકે છે.
વન્યજીવ સત્તાધિકારીઓ પણ પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છે. વર્ષ 2018માં ગીરમાં કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસ (CDV) અને બેબેસિયા ચેપના સંયુક્ત પ્રકોપને કારણે સિંહોના મોતમાં નોંધપાત્ર વધારો થયો હતો. તાજેતરની ઘટનાઓમાં પણ આ પ્રકારના સંયુક્ત ચેપની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જો કે, લેબોરેટરી રિપોર્ટની સત્તાવાર પુષ્ટિ હજુ બાકી છે. મોઢવાડિયાએ જણાવ્યું કે, હાલ ચિંતા કરવાની કોઈ જરૂર નથી. તેમણે વન વિભાગના અધિકારીઓ, પશુચિકિત્સકો અને ફિલ્ડ સ્ટાફની ઝડપી કામગીરીની પ્રશંસા કરી હતી.
તેમણે જણાવ્યું કે, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર એશિયાટિક સિંહોના સંરક્ષણ માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. વર્ષ 2025ની તાજેતરની સિંહ ગણતરી મુજબ ગુજરાતમાં એશિયાટિક સિંહોની સંખ્યા વધીને 891 સુધી પહોંચી છે. વિશ્વમાં જંગલમાં કુદરતી રીતે વસવાટ કરતા એશિયાટિક સિંહો માત્ર ગુજરાતમાં જ જોવા મળે છે અને હવે તેઓ ગીર ઉપરાંત સમગ્ર સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ફેલાયા છે.




