અમદાવાદના સોલા વિસ્તારમાં દૂષિત પાણીથી ઝાડા-ઉલટીના કેસ, 500થી વધુ લોકો અસરગ્રસ્ત



અમદાવાદના સોલા વિસ્તારમાં દૂષિત પાણીથી ઝાડા-ઉલટીના કેસ, 500થી વધુ લોકો અસરગ્રસ્ત



Ahmedabad Sola News: અમદાવાદના સોલા વિસ્તારમાં આવેલી આકાંક્ષા એપાર્ટમેન્ટ, વંદે માતરમ ફ્લેટ સહિત આસપાસની અનેક સોસાયટીઓમાં છેલ્લા ત્રણ દિવસથી ઝાડા અને ઉલટીના કેસોમાં ચિંતાજનક વધારો નોંધાયો છે. પ્રાથમિક માહિતી મુજબ, 500થી વધુ લોકો બીમાર પડ્યા હોવાનું સામે આવ્યું છે, જેના કારણે સ્થાનિકોમાં ભારે ચિંતા ફેલાઈ છે.
સ્થાનિકોના જણાવ્યા અનુસાર, જનતાનગર ફાટક નજીક નર્મદાની પીવાના પાણીની પાઇપલાઇન અને ગટરની લાઇન મિક્સ થવાથી પાણી દૂષિત બન્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. છેલ્લા ઘણા સમયથી પાણી પ્રદૂષણ અંગે ફરિયાદો કરવામાં આવી રહી હતી. તેમ છતાં સમસ્યાનો કાયમી ઉકેલ ન આવતા રહેવાસીઓ પરેશાન બન્યા છે.
ઘટનાની જાણ થતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની મેડિકલ ટીમ તાત્કાલિક અસરથી વિસ્તારમાં પહોંચી હતી. આરોગ્ય વિભાગ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વે હાથ ધરવામાં આવ્યો છે, તેમજ લોકોને ક્લોરિનની ગોળીઓનું વિતરણ કરવામાં આવ્યું છે.
અધિકારીઓના જણાવ્યા મુજબ, અત્યાર સુધીમાં આશરે 50 લોકોની તબીબી તપાસ કરવામાં આવી છે. મોટાભાગના દર્દીઓમાં ઝાડા અને ઉલટીના લક્ષણો જોવા મળ્યા છે. ગંભીર સ્થિતિ ધરાવતા બે દર્દીઓને વધુ સારવાર માટે હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે.
નવરત્ન સોસાયટી સહિત કુલ નવ સોસાયટીઓમાંથી પાણી પ્રદૂષણની ફરિયાદો મળી હોવાનું જાણવા મળ્યું છે. AMC દ્વારા પાણીના નમૂનાઓ લઈ તપાસ શરૂ કરવામાં આવી છે અને પાણી પુરવઠાની લાઇનોનું નિરીક્ષણ પણ હાથ ધરાયું છે. સ્થાનિકોએ તંત્ર સમક્ષ દૂષિત પાણીની સમસ્યાનો તાત્કાલિક અને કાયમી ઉકેલ લાવવાની માગ કરી છે. જેથી ભવિષ્યમાં આવી સ્થિતિનું પુનરાવર્તન ન થાય.




