સરખેજ ભારતી આશ્રમ વિવાદ, હરિહરાનંદ ભારતી અમદાવાદ આવીને બેઠક યોજશે



સરખેજ ભારતી આશ્રમ વિવાદ, હરિહરાનંદ ભારતી અમદાવાદ આવીને બેઠક યોજશે



Sarkhej Bharti Ashram Controversy: સરખેજના ભારતી આશ્રમ સાથે જોડાયેલા વિવાદમાં હવે આશ્રમ તરફથી સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી છે. કથિત વાયરલ વીડિયોને લઈને આશ્રમના પ્રતિનિધિ મુકેશ પટેલે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે, વીડિયો અંગે જાણ થતાં જ આશ્રમની વર્કિંગ કમિટી અને જૂનાગઢ સ્થિત મુખ્ય મહંત હરિહરાનંદ બાપુ સાથે તાત્કાલિક ચર્ચા કરવામાં આવી હતી.
જેના આધારે આક્ષેપિત ઈશ્વરભારતી ઉર્ફે ઉતા બાપુને તમામ પદો અને જવાબદારીઓમાંથી તાત્કાલિક અસરથી દૂર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આશ્રમ તરફથી જાહેર કરાયેલા પત્રમાં જણાવાયું છે કે, તાજેતરમાં સર્જાયેલી પરિસ્થિતિ અને વાયરલ થયેલા કથિત વીડિયોને કારણે સંસ્થાની પ્રતિષ્ઠા અને લોકોના વિશ્વાસ ઉપર થતી અસરને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે.
આશ્રમનો દાવો છે કે, વીડિયો વાયરલ થયા બાદથી એકા બાપુ આશ્રમમાંથી નીકળી ગયા હતા. જો કે, તેમની સાથે ફોન પર સંપર્ક કરી તેમજ રૂબરૂ મુલાકાત દરમિયાન આ નિર્ણયનો પત્ર સોંપી જાણ કરવામાં આવી હોવાનું પણ કહેવામાં આવ્યું છે.
આ તરફ જૂનાગઢ સ્થિત મુખ્ય મહંત હરિહરાનંદ બાપુ અમદાવાદ પહોંચીને આશ્રમમાં મહત્વપૂર્ણ બેઠક યોજશે. જેમાં ભવિષ્યમાં આ પ્રકારની ઘટનાઓ ફરી ન બને તે માટે શું તકેદારી રાખવી અને કયા કડક પગલાં લેવા તે મુદ્દે ચર્ચા કરવામાં આવશે. હાલ આ સમગ્ર મામલે લોકોમાં અનેક ચર્ચાઓ ચાલી રહી છે, ત્યારે આશ્રમનું આ નિવેદન મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.




