વિરમગામમાં માતા-પુત્ર દ્વારા પિતાની હત્યા, પોલીસ તપાસમાં ખુલાસો



વિરમગામમાં માતા-પુત્ર દ્વારા પિતાની હત્યા, પોલીસ તપાસમાં ખુલાસો



Ahmedabad Police: અમદાવાદ જિલ્લાના વિરમગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં માતા અને પુત્ર દ્વારા પિતાની હત્યા કરવામાં આવી હોવાનો ખુલાસો થયો છે.
મળતી માહિતી મુજબ, 6 જૂનના રોજ વિરમગામ ગાંધી હોસ્પિટલમાંથી પોલીસને આ ઘટનાની માહિતી મળી હતી. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસને મૃતકના શરીર પર થયેલા ઈજાના નિશાન જોવા મળ્યા હતા, જેના કારણે શંકા વધુ ઘેરી બની હતી. ત્યારબાદ પોલીસે વિગતવાર તપાસ શરૂ કરી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો.
પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જાણવા મળ્યું હતું કે, મૃતકનું મોત માથાના ભાગે બોથડ પદાર્થ વાગવાથી અને ગળું દબાવવાથી થયું છે. આ મામલે શંકાસ્પદની પૂછપરછ કરતા મૃતકના પત્ની અને પુત્રએ હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. તપાસ દરમિયાન ખુલાસો થયો કે, મૃતક દીપકકુમારની હત્યા તેની પત્ની દિવ્યાની અને પુત્ર ઉદય કુમારે સાથે મળીને કરી હતી. દીપકકુમાર સોનાની દુકાન ચલાવતા હતા.
પ્રાથમિક તપાસ મુજબ, પિતા-પુત્ર વચ્ચે લાંબા સમયથી ઘરેલુ વિવાદ ચાલી રહ્યો હતો. ખાસ કરીને પુત્રની સગાઈ સંબંધિત મુદ્દે બંને વચ્ચે વારંવાર બોલાચાલી થતી હતી. ઘટનાના દિવસે પણ પુત્ર સમયસર દુકાને ન પહોંચતા પિતા-પુત્ર વચ્ચે ઝઘડો થયો હતો. ત્યારબાદ આ ગંભીર ઘટના બની હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે અને આરોપીઓની પૂછપરછ ચાલી રહી છે.




