‘પ્લેન કોલસો થઈ ગયું હોય, ત્યાં માણસ કેવી રીતે બચે!’ પ્લેન ક્રેશ દુર્ઘટનાના સાક્ષી રાજેશ પટેલની કહાણી



‘પ્લેન કોલસો થઈ ગયું હોય, ત્યાં માણસ કેવી રીતે બચે!’ પ્લેન ક્રેશ દુર્ઘટનાના સાક્ષી રાજેશ પટેલની કહાણી



Ahmedabad Plane Crash: 12 જૂન, 2025ના રોજ અમદાવાદમાં એર ઇન્ડિયાનું પ્લેન ધડાકાભેર મેડિકલ હોસ્ટેલમાં અથડાયું હતું અને તેમાં 241 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ કરૂણ દુર્ઘટના વખતે ત્યાં હાજર અને સતત બાર કલાક સુધી તંત્રની મદદ કરનારા રાજેશ પટેલે GNN ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી હતી અને તે સમયની કહાણી જણાવી હતી. આવો જાણીએ તેમના શબ્દોમાં પ્લેન ક્રેશ દુર્ઘટનાના કરૂણ કિસ્સા...
પ્લેન ક્રેશ દુર્ઘટના વખતે ત્યાં હાજર રાજેશ પટેલ GNN સાથે ખાસ વાતચીત કરતા જણાવે છે કે, હું બપોરે દોઢ વાગ્યે જમવા ઘરે આવ્યો હતો, ત્યારે અચાનક મારા મિત્રનો ફોન આવ્યો કે, નજીકમાં આગનો બનાવ બન્યો છે તમે તાત્કાલિક આવો. હું અગાઉ આવા કાર્યો સાથે જોડાયેલો હતો કે આ પ્રકારની ઘટના બને છે તો શું કરવું. તો મારા ઘરની બાજુમાં રહેતા ડોક્ટર વિનોદભાઈ સાથે તાત્કાલિક એમ્બ્યુલન્સ લઈને ઘટનાસ્થળે પહોંચ્યો હતો.
રાજેશ પટેલ વધુમાં કહે છે કે, હું ઘટનાસ્થળે પહોંચ્યો ત્યારે ત્યાં જોયું કે, એટલી બધી ગરમી હતી, એટલું બધું ટેમ્પરેચર હતું કે, શરૂઆતમાં ઘટના શું બની છે તેની કલ્પના જ નહોતી. ચારેબાજુ ધુમાડા જ ધુમાડા દેખાય. ત્યારે અડધા એક કલાક બાદ પરિસ્થિતિ થોડી ઠંડી પડી ત્યારે પ્લેન ક્રેશ થયું છે તે ઘટનાની જાણ થઈ હતી. ત્યારે પહેલો જ વિચાર એવો આવ્યો કે, આટલા મોટા પ્લેનમાં કેટલા લોકો દટાયા હશે, કોઈ જીવિત છે કે નહીં તેનો ખ્યાલ જ ન આવે.
તેઓ વધુમાં જણાવે છે કે, અમે તાત્કાલિક ત્યાં કૂદી પડ્યાં, કોઈ જીવતું હોય તો તેને બચાવવા માટે દોડી ગ યા. પણ પરિસ્થિતિ એવી હતી કે, જ્યાં પ્લેનની આખી બોડી કોલસો થઈ ગઈ હોય ત્યાં માણસ કેવી રીતે બચે. ત્યારે તેમાંથી ઘણી બધી બોડી એકપછી એક રિકવર કરવા લાગ્યા. કમનસીબી એટલી કે એકપણ વ્યક્તિનો આખો મૃતદેહ મળ્યો જ નહીં!
તેઓ એક કરૂણ પ્રસંગ વિશે વાત કરતા જણાવે છે કે, ત્યાંથી એક મહિલાનો મૃતદેહ મળ્યો, જેનું થોડા દિવસો પહેલાં જ સીમંત થયું હતું. તેનો મૃતદેહ ઉંચક્યો તો પહેલો વિચાર આવ્યો કે, આ ગર્ભમાં રહેલા નિર્દોષ બાળકનો શું વાંક? મારું મન વિચલિત થઈ ગયું. બે મહિના પછી આ દુનિયામાં આવનારો બાળક માતાના ગર્ભમાં જ મૃત્યુ પામ્યો.
તેઓ કહે છે કે, આવા તો ઘણાં કિસ્સા છે, જેમાં કોઈ ભણવા માટે યુકે જતા હતા, તો કોઈ પરિવારને મળવા માટે આવ્યું હતું. આ આક્રંદ જોઈને એમ વિચાર આવતો હતો કે, આમાં માબાપનો શું વાંક? તેમણે સંતાનો માટે કેટલા સપના જોયા હશે. ત્યારે ઘટનાસ્થળેથી એક મોબાઇલ મળ્યો હતો. એની સ્ક્રિન તૂટેલી હતી, એની સતત રિંગ વાગતી હતી. સામે છેડેથી ફોન કરનારા વ્યક્તિને નહોતી ખબર કે હવે એ ફોન રિસિવ કરનારો હંમેશા માટે આ દુનિયામાં નથી રહ્યો.
રાજેશ પટેલ કહે છે કે, જે દિવસે આ ગડમથલ ચાલી, તે જ રાતે મારો પરિવાર અમેરિકાથી અમદાવાદ આવવાનો હતો. ત્યારે મારું હૃદય દ્રવી ઉઠ્યું. મને વિચારો આવ્યા કર્યા અને આખી રાત ઉંઘ નહોતી આવી.
તેઓ જણાવે છે કે, જે પણ પરિવારોએ સ્વજનો ગુમાવ્યા છે, તેમને તેમની યાદગીરી રૂપે તેમના ઘરેણાં, લકી, ઘડિયાળ, વીંટી, વાઘા આપ્યાં. ત્યારે કુદરતને કહેતા કે, આ બધું બચી ગયું છે તો માનવ કેમ નથી બચ્યો? જે પરિસ્થિતિ ઊભી થઈ છે અને લોકોના જીવ ગયા, તેમની હાજરી અને આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના.
રાજેશ પટેલ જણાવે છે કે, હું એ દિવસે બપોરે દોઢ વાગ્યાનો ગયો હતો અને રાતે સાડા બાર વાગ્યે ત્યાંથી બહાર નીકળ્યો હતો. એ દિવસે આર્મી આરએસએસના સ્વયંસેવકો સહકાર આપતા હતા. મને ક્યારેય ડર નથી લાગ્યો અને ઘટનાસ્થળેથી જવાનો વિચાર નહોતો આવ્યો.




