અમદાવાદના નહેરુનગરમાં નિવૃત્ત DySP દ્વારા પાંચ રાઉન્ડ ફાયરિંગ, જમીન મામલે વિવાદ



અમદાવાદના નહેરુનગરમાં નિવૃત્ત DySP દ્વારા પાંચ રાઉન્ડ ફાયરિંગ, જમીન મામલે વિવાદ



Ahmedabad Firing: અમદાવાદના નહેરુનગર વિસ્તારમાં જાહેરમાં ફાયરિંગની ઘટનાથી ચકચાર મચી ગઈ છે. નહેરુનગર બસ સ્ટેશન પાછળ આવેલી વિવાદિત જમીન મામલે નિવૃત્ત DYSP દ્વારા પાંચ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ત્યારે આ ઘટનાની જાણ થતાં જ પોલીસ વિભાગ દોડતું થયું હતું.
પ્રાથમિક માહિતી પ્રમાણે, નિવૃત્ત DYSP અશોકસિંહ ચૌહાણ દ્વારા જમીન વિવાદને લઈને લાયસન્સવાળી રિવોલ્વરમાંથી પાંચ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાની જાણ થતાં સેટેલાઈટ પોલીસનો કાફલો અને અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા.
પોલીસના જણાવ્યા મુજબ, નહેરુનગર બસ સ્ટેશન પાછળ આવેલી આ જગ્યા અશોકસિંહ ચૌહાણના કબજામાં હોવાનું કહેવાય છે. જેને હરેશ અને હિતેશ ભારડીયા દ્વારા ભાડે લેવામાં આવી હતી. જ્યાં સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા. જો કે, જમીન માલિકીના પુરાવા રજૂ ન થતા AMC અને પ્રશાસન તરફથી જરૂરી મંજૂરી મળી ન હોવાનું સામે આવ્યું છે. જેના કારણે ભાડું, ડિપોઝિટ અને જગ્યા ખાલી કરવાના મુદ્દે બંને પક્ષો વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો.
પોલીસની પ્રાથમિક તપાસ અનુસાર, વિવાદ ઉગ્ર બનતા અશોકસિંહ ચૌહાણ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ઘટનાસ્થળેથી પાંચ ખાલી કારતૂસ પણ મળી આવ્યા છે. ચોંકાવનારી બાબત એ છે કે, ઘટના સમયે અશોકસિંહ ચૌહાણ તેમની પુત્રી અને અન્ય સાગરીતો સાથે હાજર હોવાનું પણ સામે આવ્યું છે. જ્યારે જમીનનો મૂળ માલિક પ્રિયમ મહેતા હોવાનું અને સમગ્ર મામલો હાલ કોર્ટમાં લીટીગેશન હેઠળ હોવાનું કહેવાઈ રહ્યું છે. હાલ સેટેલાઈટ પોલીસે સમગ્ર પ્રકરણમાં FIR નોંધવાની પ્રક્રિયા હાથ ધરી છે અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.




