વિશ્વ હિંદુ પરિષદ દ્વારા દાણીલીમડા પોલીસ સ્ટેશનના PI સહિત સ્ટાફનું સન્માન, કતલખાનામાં દરોડો પાડી કાર્યવાહી કરી હતી



વિશ્વ હિંદુ પરિષદ દ્વારા દાણીલીમડા પોલીસ સ્ટેશનના PI સહિત સ્ટાફનું સન્માન, કતલખાનામાં દરોડો પાડી કાર્યવાહી કરી હતી



Ahmedabad Danilimda Police: દાણીલીમડા પોલીસ દ્વારા સુએઝ ફાર્મ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ચાલી રહેલા કતલખાનામાં દરોડો પાડી મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે સ્થળ પરથી 133 કિલો ગૌમાંસ સહિત હથિયારો, વાહનો અને અન્ય મુદ્દામાલ કબજે કરી બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા.
મળતી માહિતી મુજબ, ગત 11 મે, 2026ના રોજ દાણીલીમડા પોલીસને બાતમી મળી હતી કે, સુએઝ ફાર્મ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે પશુઓની કતલ કરવામાં આવી રહી છે. આ બાતમીને ગંભીરતાથી લઈ દાણીલીમડા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સી.ટી. દેસાઈએ સર્વેલન્સ સ્કોડ અને ડી-સ્ટાફને કાર્યવાહી માટે સૂચના આપી હતી.
વહેલી સવારે પોલીસે બાતમીવાળી જગ્યાએ રેડ કરી હતી, જ્યાંથી એફએસએલ રિપોર્ટ મુજબ 133 કિલો ગૌમાંસનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી બે આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઉપરાંત ઘાતક હથિયારો, કાર અને ઓટો રિક્ષા સહિતનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો હતો.
પોલીસની આ કાર્યવાહી બાદ ગેરકાયદેસર કતલખાના ચલાવતા તત્વોમાં ભયનો માહોલ સર્જાયો છે. પોલીસ દ્વારા સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે, ગુજરાતમાં ક્યાંય પણ આવા ગેરકાયદેસર કતલખાના ચલાવી લેવામાં આવશે નહીં.
આ કામગીરી બદલ વિશ્વ હિન્દુ પરિષદ મણિનગર જિલ્લા ટીમ દ્વારા દાણીલીમડા પોલીસ સ્ટેશન ખાતે પહોંચી પોલીસ ઇન્સ્પેક્ટર સી.ટી. દેસાઈ અને સર્વેલન્સ સ્ટાફનું સન્માન કરવામાં આવ્યું હતું. ટીમ દ્વારા ગૌમાતાની પ્રતિકૃતિ ભેટ આપી પોલીસની કામગીરીને બિરદાવવામાં આવી હતી. પોલીસ ઇન્સપેક્ટર સી.ટી. દેસાઈએ જણાવ્યું હતું કે, આવનારા સમયમાં પણ આવા ગેરકાયદેસર અને અસામાજિક તત્વો સામે કડક કાયદેસરની કાર્યવાહી ચાલુ રહેશે.




