સાબરમતી રિવરફ્રન્ટ પરથી મળેલી લાશનો ભેદ 9 વર્ષે ઉકેલાયો, પોલીસે પતિની કરી ધરપકડ



સાબરમતી રિવરફ્રન્ટ પરથી મળેલી લાશનો ભેદ 9 વર્ષે ઉકેલાયો, પોલીસે પતિની કરી ધરપકડ



Ahmedabad Police: નવ વર્ષ પહેલા સાબરમતી રિવરફ્રન્ટમાંથી મળી આવેલી બિનવારસી મહિલાની લાશનો રહસ્યમય કેસ આખરે ઉકેલાઈ ગયો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આ કેસમાં મહિલાના પતિની ધરપકડ કરીને ચોંકાવનારો ખુલાસો કર્યો છે.
વર્ષ 2017માં રથયાત્રાના દિવસે રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક અજાણી મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. ઓળખ ન થતાં તે સમયે મૃતદેહનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો. જો કે, તાજેતરમાં ક્રાઈમ બ્રાન્ચને મળેલી બાતમીના આધારે તપાસ ફરી શરૂ કરવામાં આવી હતી.
તપાસ દરમિયાન મૃતકની ઓળખ કાલુપુર વિસ્તારમાં રહેતી કોમલબેન સોલંકી તરીકે થઈ હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, કોમલબેન અને મિનેશ સોલંકીના લગ્નને માત્ર ચાર મહિના થયા હતા, પરંતુ ઘરેલુ ઝઘડાઓ અને અણબનાવને કારણે સંબંધોમાં તણાવ વધી ગયો હતો.
આરોપી મિનેશે 25 જૂન 2017ના રોજ પત્નીને ફરવાના બહાને આખો દિવસ શહેરમાં ફેરવી હતી. ત્યારબાદ મોડી રાત્રે સાબરમતી રિવરફ્રન્ટ પર લઈ જઈ વાતચીત દરમિયાન તેને નદીમાં ફેંકી દીધી હતી.
ગુનાને છુપાવવા માટે બીજા દિવસે કાલુપુર પોલીસ સ્ટેશનમાં પત્ની ગુમ થયાની ખોટી ફરિયાદ પણ નોંધાવી હતી. નવ વર્ષ બાદ જૂના ફોટોગ્રાફ, સાક્ષીઓના નિવેદનો અને ટેક્નિકલ તપાસના આધારે સમગ્ર રહસ્ય બહાર આવ્યું છે.
ક્રાઈમ બ્રાન્ચે મુખ્ય આરોપી મિનેશ ઉર્ફે મોન્ટુ સોલંકીની ધરપકડ કરી છે. આરોપી સામે અગાઉ વડોદરા, દરીયાપુર અને ગાંભોઈ પોલીસ સ્ટેશનોમાં છેતરપિંડી, આર્મ્સ એક્ટ અને પ્રોહિબિશનના ગુનાઓ પણ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. હાલ વધુ તપાસ ચાલી રહી છે.




