અમદાવાદમાં ભેળસેળીયું ઘી બનાવવાનો ધંધો ઝડપાયો, 400 કિલો જથ્થો સીઝ



અમદાવાદમાં ભેળસેળીયું ઘી બનાવવાનો ધંધો ઝડપાયો, 400 કિલો જથ્થો સીઝ



અમદાવાદના નિકોલ વિસ્તારમાં ડુપ્લીકેટ ઘી બનાવતી ગેરકાયદે ફેક્ટરીનો પર્દાફાશ થયો છે. રોયલ બંગ્લોઝના એક રહેણાંક મકાનમાં ચાલતા આ કૌભાંડ સામે આવતા શહેરમાં ચકચાર મચી ગઈ છે. એએમસી ના ફૂડ વિભાગે દરોડા દરમિયાન અંદાજે 400 કિલો ભેળસેળીયું ઘી અને અન્ય સામગ્રી મળી કુલ રૂપિયા 1.60 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
તપાસ દરમિયાન જાણવા મળ્યું કે વેજીટેબલ ફેટ અને પામોલીન તેલનું મિશ્રણ કરીને ગાયના ઘીના નામે નકલી ઉત્પાદન તૈયાર કરવામાં આવતું હતું. આ ઘી “મંગલમૂર્તિ” બ્રાન્ડના નામે પેકિંગ કરીને બજારમાં વેચાણ માટે તૈયાર કરવામાં આવતું હતું. મુરલીધર ફૂડ પ્રોડક્ટ્સના નામે રામગોપાલ કુંપાવત પોતાના રહેણાંક મકાનમાં આ ગેરકાયદે પ્રવૃત્તિ ચલાવતો હતો.
ફૂડ વિભાગના અધિકારીઓએ સ્થળ પરથી સેમ્પલ લઈને લેબોરેટરીમાં તપાસ માટે મોકલી આપ્યા છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે આ એકમ પાસે કોઈ લાયસન્સ કે રજિસ્ટ્રેશન નહોતું અને મુરલીધર ફૂડ પ્રોડક્ટ્સનું લાયસન્સ પણ અગાઉથી જ સમાપ્ત થઈ ચૂક્યું હતું.
સ્થળ પરથી ખાલી જાર, લેબલ, પેકિંગ સાધનો, ગેસ સિલિન્ડર અને અન્ય સામગ્રી પણ સીઝ કરવામાં આવી છે. આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને સંડોવાયેલા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની તૈયારી ચાલી રહી છે.




