અમદાવાદમાં રથયાત્રાની તૈયારીઓ તેજ, મેયર સહિતના પદાધિકારીઓએ રૂટનું કર્યું નિરીક્ષણ



અમદાવાદમાં રથયાત્રાની તૈયારીઓ તેજ, મેયર સહિતના પદાધિકારીઓએ રૂટનું કર્યું નિરીક્ષણ



અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની પરંપરાગત રથયાત્રાને લઈને તંત્ર દ્વારા તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે. રથયાત્રા નિર્વિઘ્ન અને સુરક્ષિત રીતે સંપન્ન થાય તે માટે અમદાવાદના મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તેમજ અન્ય પદાધિકારીઓએ આજે રથયાત્રાના રૂટની વિસ્તૃત સમીક્ષા કરી હતી. આ દરમિયાન DYMC સહિતના સંબંધિત વિભાગોના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
જગન્નાથ મંદિરથી શરૂ થઈ સરસપુર, દરિયાપુર સહિતના વિવિધ વિસ્તારોમાંથી પસાર થતા રથયાત્રાના માર્ગનું સ્થળ પર જઈને નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. રૂટ પર આવેલા જર્જરિત અને ભયજનક મકાનો, ઝાડ તેમજ અન્ય અવરોધરૂપ બની શકે તેવી બાબતોનું વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું હતું. અધિકારીઓએ જણાવ્યું કે દર વર્ષની જેમ આ વર્ષે પણ રથયાત્રા પહેલા સમગ્ર રૂટનું સઘન નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.
તંત્રના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં રૂટ પર આવેલા 31 ભયજનક મકાનોને ઉતારી લેવામાં આવ્યા છે, જેથી યાત્રા દરમિયાન કોઈપણ પ્રકારની દુર્ઘટના સર્જાય નહીં. જ્યાં જરૂરિયાત જણાઈ ત્યાં તાત્કાલિક કાર્યવાહી કરીને જોખમી માળખાં દૂર કરવામાં આવ્યા છે.
આગામી 16 તારીખે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા યોજાનાર હોવાથી સમગ્ર માર્ગ પર સુરક્ષા અને સુવિધાઓને લઈને પણ ખાસ આયોજન કરવામાં આવી રહ્યું છે. જે સ્થળોએ હજુ જર્જરિત મકાનો છે ત્યાં સંબંધિત અધિકારીઓ અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવશે. તંત્રનું કહેવું છે કે યાત્રાળુઓની સુરક્ષા સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને રથયાત્રા શાંતિપૂર્ણ તેમજ સલામત વાતાવરણમાં પૂર્ણ થાય તે માટે તમામ વિભાગો સંકલન સાથે કામગીરી કરી રહ્યા છે.




