ઇબોલા અંગે કેન્દ્ર સરકારની એડવાઇઝરી, ભારતમાં એકપણ કેસ નહીં છતાં સતર્ક રહેવાની અપીલ



ઇબોલા અંગે કેન્દ્ર સરકારની એડવાઇઝરી, ભારતમાં એકપણ કેસ નહીં છતાં સતર્ક રહેવાની અપીલ



કેન્દ્રના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે ઇબોલા વાયરસ બીમારીને લઈને મહત્વપૂર્ણ એડવાઇઝરી જાહેર કરી છે. મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે 2 જૂન, 2026 સુધી ભારતમાં ઇબોલાનો એકપણ કેસ નોંધાયો નથી. તેમ છતાં સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને લોકોને સતર્ક રહેવા અને આરોગ્ય વિભાગ દ્વારા જારી કરાયેલા માર્ગદર્શનોનું પાલન કરવાની સલાહ આપવામાં આવી છે.
આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે જો કોઈ વ્યક્તિ છેલ્લા 21 દિવસ દરમિયાન ઇબોલા પ્રભાવિત દેશની મુસાફરી કરીને આવ્યો હોય અથવા તે દેશમાંથી પસાર થયો હોય અને તેને તાવ, માથાનો દુખાવો, સ્નાયુઓમાં દુખાવો, ઉલ્ટી, ઝાડા કે કોઈ સ્પષ્ટ કારણ વિના રક્તસ્રાવ જેવા લક્ષણો જોવા મળે, તો તેણે તાત્કાલિક પોતાને અન્ય લોકોથી અલગ રાખવું જોઈએ. સાથે જ સ્થાનિક આરોગ્ય અધિકારીઓને જાણ કરવી જરૂરી છે જેથી સમયસર તપાસ અને સારવાર શરૂ કરી શકાય.
મંત્રાલયે લોકોને કોઈપણ શંકાસ્પદ લક્ષણોને અવગણવા નહીં તેવી અપીલ કરી છે. શરૂઆતના તબક્કામાં માહિતી મળવાથી દર્દીની સારવાર ઝડપથી શરૂ થઈ શકે છે અને સંક્રમણના સંભવિત ફેલાવાને પણ અટકાવી શકાય છે.
આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ સમયસર રિપોર્ટિંગ અનેક લોકોના જીવ બચાવવામાં મદદરૂપ બની શકે છે. નાગરિકોની મદદ માટે આરોગ્ય મંત્રાલયે 24 કલાક કાર્યરત હેલ્પલાઇન નંબર 1075 પર સંપર્ક કરવાની પણ સલાહ આપી છે.
ઇબોલા એક ગંભીર અને ઘણીવાર જીવલેણ ચેપી રોગ છે. તે મુખ્યત્વે સંક્રમિત વ્યક્તિના લોહી, પરસેવો કે અન્ય શારીરિક પ્રવાહીના સંપર્કથી ફેલાય છે. શરૂઆતમાં તેના લક્ષણો સામાન્ય તાવ જેવા હોઈ શકે છે, પરંતુ પછીથી સ્થિતિ ગંભીર બની શકે છે અને આંતરિક અથવા બાહ્ય રક્તસ્રાવ જેવી જટિલતાઓ પણ સર્જાઈ શકે છે.
ઈબોલા એક ગંભીર અને ઘણીવાર જીવલેણ ચેપી
નિષ્ણાતોના જણાવ્યા મતે આંતરરાષ્ટ્રીય મુસાફરીમાં વધારાને ધ્યાનમાં રાખીને સાવચેતી જરૂરી છે. સરકારે લોકોને અફવાઓથી દૂર રહી માત્ર સત્તાવાર માહિતી પર વિશ્વાસ રાખવા અને શંકાસ્પદ લક્ષણો દેખાય તો તરત આરોગ્ય વિભાગનો સંપર્ક કરવાની અપીલ કરી છે.




