લગ્નના બે દિવસ બાદ જ માતમમાં ફેરવાઈ ખુશીઓ: પ્લેન ક્રેશમાં પુત્ર ગુમાવનાર વડોદરા પરિવાર આજે પણ શોકમાં



લગ્નના બે દિવસ બાદ જ માતમમાં ફેરવાઈ ખુશીઓ: પ્લેન ક્રેશમાં પુત્ર ગુમાવનાર વડોદરા પરિવાર આજે પણ શોકમાં



અમદાવાદ અમદાવાદમાં બનેલી ભયાનક વિમાન દુર્ઘટનાને એક વર્ષ પૂર્ણ થયું છે, પરંતુ આ ઘટનામાં પોતાના સ્વજન ગુમાવનાર પરિવારો માટે સમય આજે પણ જાણે અટક્યો હોય તેવી સ્થિતિ છે. આ દુર્ઘટનામાં વડોદરાના 25 વર્ષીય ભાવિક મહેશ્વરીએ જીવ ગુમાવ્યો હતો, જેના કારણે તેમના પરિવારની ખુશીઓ એક જ ક્ષણમાં માતમમાં ફેરવાઈ ગઈ હતી.
માહિતી મુજબ, ભાવિક મહેશ્વરી લાંબા સમયથી લંડનમાં નોકરી કરતા હતા અને થોડા દિવસ પહેલા જ લગ્નની ખુશીઓ વચ્ચે તેઓ પરિવારને મળવા ભારત આવ્યા હતા. 10 જૂનના રોજ તેમણે કોર્ટ મેરેજ કર્યા હતા અને પરિવાર નવા જીવનની શરૂઆતને લઈને ખુશ હતો.
પરંતુ લગ્નના માત્ર બે દિવસ બાદ જ ભયાનક પ્લેન ક્રેશની ઘટના બની હતી, જેમાં ભાવિકનું દુર્ભાગ્યપૂર્ણ મોત થયું હતું.
પરિવારજનો તેમને એરપોર્ટ સુધી મૂકીને વડોદરા પરત ફર્યા હતા, પરંતુ થોડા જ સમયમાં વિમાન દુર્ઘટનાના સમાચાર મળતા સમગ્ર પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.
પ્રારંભમાં પરિવારને વિશ્વાસ જ નહોતો આવ્યો, પરંતુ બાદમાં દુર્ઘટનામાં ભાવિકનું મોત થયાનું સ્પષ્ટ થયું હતું. આ ઘટનાએ લગ્નની ખુશીઓને શોકમાં ફેરવી દીધી હતી અને પરિવારના તમામ સપનાઓ તૂટી ગયા હતા.
ભાવિકના પિતા આજે પણ તે દિવસને યાદ કરતાં કહે છે કે 12 જૂન તેમના જીવનનો સૌથી દુઃખદ દિવસ છે. જ્યારે માતા આજે પણ દરવાજા તરફ જોઈને પુત્રની રાહ જુએ છે અને તેની યાદોમાં જીવતી રહે છે.
એક વર્ષ બાદ પણ મહેશ્વરી પરિવાર માટે દરેક દિવસ ભાવિકની સ્મૃતિઓ સાથે પસાર થાય છે. સરકાર અને સંસ્થાઓ તરફથી સહાય મળી હોવા છતાં પણ સંતાનની ખોટ ક્યારેય પૂરી થઈ શકતી નથી.




