હોર્મુઝમાં માલવાહક જહાજ પર હુમલા બાદ અમેરિકાનો પલટવાર



ફાઈલ ફોટો
હોર્મુઝમાં માલવાહક જહાજ પર હુમલા બાદ અમેરિકાનો પલટવાર



ફાઈલ ફોટો
વોશિંગ્ટન: હોર્મુઝ જળમાર્ગમાં સિંગાપુરના ધ્વજ હેઠળ ચાલતા એક વ્યાપારી માલવાહક જહાજ પર થયેલા હુમલા બાદ અમેરિકાએ ઈરાન સામે સીધી સૈન્ય કાર્યવાહી કરી છે. યુએસ સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM)એ ઈરાનના મિસાઈલ અને ડ્રોન સ્ટોરેજ કેન્દ્રો તેમજ તટીય રડાર સ્થાપનો પર હવાઈ હુમલા કર્યા હોવાનું જણાવ્યું છે. બંને દેશો વચ્ચે તાજેતરમાં થયેલા યુદ્ધવિરામ બાદ અમેરિકાની આ પ્રથમ સીધી સૈન્ય કાર્યવાહી માનવામાં આવી રહી છે.
સેન્ટકોમના જણાવ્યા અનુસાર, 25 જૂને ઓમાનના કિનારા નજીક હોર્મુઝ જળમાર્ગમાંથી પસાર થઈ રહેલા M/V Ever Lovely નામના માલવાહક જહાજને ઈરાને વન-વે એટેક ડ્રોન દ્વારા નિશાન બનાવ્યું હતું. તેના જવાબમાં 26 જૂને અમેરિકન સૈન્ય વિમાનોએ ઈરાનના સૈન્ય ઠેકાણાઓ પર નિશાન સાધ્યું.
અમેરિકાએ આ હુમલાને યુદ્ધવિરામ કરારનું સ્પષ્ટ ઉલ્લંઘન ગણાવ્યું છે. સેન્ટકોમે જણાવ્યું કે વ્યાપારી જહાજો પરનો હુમલો આંતરરાષ્ટ્રીય વેપાર માટે અત્યંત મહત્વના હોર્મુઝ જળમાર્ગમાં નૌકાવહન સ્વતંત્રતા માટે ગંભીર ખતરો છે. અમેરિકા આ વ્યૂહાત્મક જળમાર્ગમાંથી પસાર થતા વ્યાપારી જહાજોની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે.
હુમલા પહેલાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ ઈરાનની કાર્યવાહી પર કડક પ્રતિક્રિયા આપી હતી. તેમણે જણાવ્યું હતું કે ઈરાને હોર્મુઝમાંથી પસાર થતા જહાજોને નિશાન બનાવી ચાર આત્મઘાતી ડ્રોન છોડ્યા હતા. અમેરિકન સેનાએ તેમાંથી ત્રણ ડ્રોનને તોડી પાડ્યા હતા, જ્યારે ચોથો ડ્રોન માલવાહક જહાજ સાથે અથડાયો હતો. ટ્રમ્પે આ ઘટનાને યુદ્ધવિરામ કરારનું 'મૂર્ખામીભર્યું ઉલ્લંઘન' ગણાવ્યું હતું.
ઈરાને જહાજ પર હુમલાની જવાબદારી સ્વીકારી નથી. જોકે, અમેરિકાની એરસ્ટ્રાઈક બાદ ઈરાની સરકારી મીડિયાના અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો કે હોર્મુઝ નજીક આવેલા સિરિક બંદર પરના એક ટેલિકોમ્યુનિકેશન ટાવરને પ્રોજેક્ટાઈલ વાગ્યું હતું.
ઈરાનની ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC)એ ચેતવણી આપી છે કે જો કોઈ નવી કાર્યવાહી કરવામાં આવશે તો તેનો કડક જવાબ આપવામાં આવશે. બીજી તરફ, અમેરિકન અધિકારીઓના જણાવ્યા મુજબ આ સમગ્ર ઓપરેશન લગભગ 90 મિનિટ ચાલ્યું હતું અને તેનો હેતુ મોટા પાયે યુદ્ધ શરૂ કરવાનો નહીં પરંતુ જહાજ પરના હુમલાનો મર્યાદિત જવાબ આપવાનો હતો.
તાજેતરની આ ઘટના અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલા યુદ્ધવિરામ બાદ સર્જાઈ છે. કરાર મુજબ બંને દેશોએ સૈન્ય કાર્યવાહી અટકાવવાની અને હોર્મુઝ જળમાર્ગને ફરી સુરક્ષિત રીતે ખુલ્લો રાખવાની સહમતી દર્શાવી હતી. જોકે, માલવાહક જહાજ પરના હુમલા અને ત્યારબાદ અમેરિકાના પલટવારને કારણે હવે આ યુદ્ધવિરામ કેટલો ટકાઉ રહેશે તે અંગે નવા સવાલો ઊભા થયા છે.




