સુરતમાં માવઠાનો માર, પવન-વીજળી સાથે વરસેલા વરસાદે ખેડૂતોની ચિંતા વધારી



સુરતમાં માવઠાનો માર, પવન-વીજળી સાથે વરસેલા વરસાદે ખેડૂતોની ચિંતા વધારી



સુરત સુરત જિલ્લામાં મોડી રાત્રે અચાનક વાતાવરણમાં પલટો આવતા તેજ પવન અને વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ ખાબક્યો હતો. કમોસમી વરસાદના કારણે બાગાયતી પાક તેમજ ઉનાળુ ડાંગરના પાકને નુકસાન થવાની ભીતિ ઊભી થઈ છે.
ખાસ કરીને ઓલપાડ તાલુકાના ખેડૂતો માટે આ વરસાદ ચિંતાજનક સાબિત થયો છે. જોકે રાહતની વાત એ છે કે મોટા ભાગના ખેડૂતો ઉનાળુ ડાંગરની કાપણી પૂર્ણ કરી પાકને મંડળીઓ સુધી પહોંચાડી ચૂક્યા હોવાથી તેમને મોટું નુકસાન ટળ્યું છે.
બે દિવસ અગાઉ કીમ-ઓલપાડ સ્ટેટ હાઈવે પર અનેક ખેડૂતો દ્વારા ભેજવાળું ડાંગર સુકવવા માટે રોડ પર પાથરવામાં આવ્યું હતું. પરંતુ હવામાનમાં ફેરફારની આગાહી વચ્ચે મોટા ભાગના ખેડૂતો સમયસર ડાંગર ઉઠાવી લેતા પાક પલળવાથી બચી ગયો હતો.
જોકે કેટલાક ખેડૂતોનું ડાંગર હજુ રોડ પર જ રહેતા વરસાદના કારણે તે પલળી ગયું હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ જે ખેડૂતોનું ઉનાળુ ડાંગર હજુ ખેતરમાં કાપવાનું બાકી હતું, તેઓને પણ વરસાદના કારણે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
અચાનક આવેલા આ માવઠાએ ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે, જ્યારે નુકસાનનું ચોક્કસ ચિત્ર આગામી દિવસોમાં સામે આવશે.




