એક્સ વાઇફ સાથે ફરી લગ્નની અફવાઓ પર ભડક્યા શાલીન ભનોટ, કહ્યું – "આ છેલ્લી ચેતવણી છે"



એક્સ વાઇફ સાથે ફરી લગ્નની અફવાઓ પર ભડક્યા શાલીન ભનોટ, કહ્યું – "આ છેલ્લી ચેતવણી છે"



મુંબઈ: ટીવી અભિનેતા શાલીન ભનોટ ફરી એકવાર પોતાની પર્સનલ લાઇફને લઈને ચર્ચામાં આવ્યા છે. સોશિયલ મીડિયા પર એવી અફવાઓ વાયરલ થઈ હતી કે તેઓ પોતાની પૂર્વ પત્ની દલજીત કૌર સાથે ફરી લગ્ન કરવાની તૈયારીમાં છે. જોકે, શાલીને આ દાવાઓને સંપૂર્ણપણે ખોટા ગણાવી કડક પ્રતિક્રિયા આપી છે.
તાજેતરમાં એક સોશિયલ મીડિયા પેજે શાલીનનો એક વીડિયો શેર કરીને દાવો કર્યો હતો કે તેઓ દલજીત કૌર સાથે ફરી નજીક આવી રહ્યા છે અને લગ્ન વિશે વિચાર કરી રહ્યા છે. આ પોસ્ટ પર પ્રતિક્રિયા આપતા શાલીને લખ્યું કે આ સમાચાર સંપૂર્ણપણે ખોટા અને મનગમતા છે.
શાલીને કમેન્ટમાં જણાવ્યું કે, “કોઈપણ વ્યક્તિની પર્સનલ લાઇફ વિશે માત્ર વ્યૂઝ મેળવવા માટે ખોટી માહિતી ફેલાવવી ગેરજવાબદાર વર્તન છે. પોસ્ટ તરત ડિલીટ કરો અને જાહેરમાં માફી માગો. આને મારી છેલ્લી ચેતવણી માનો. નહીં તો કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.”
શાલીનની આ પ્રતિક્રિયા બાદ ઘણા સોશિયલ મીડિયા યુઝર્સ તેમના સમર્થનમાં આવ્યા હતા અને ફેક ન્યૂઝ ફેલાવનારાઓની ટીકા કરી હતી.
ઉલ્લેખનીય છે કે શાલીન ભનોટ અને દલજીત કૌરની મુલાકાત ટીવી શો કુલવધૂના સેટ પર થઈ હતી. બંનેએ વર્ષ 2009માં લગ્ન કર્યા હતા અને બાદમાં નચ બલિયે જીત્યું હતું. દંપતીનો એક પુત્ર પણ છે. જોકે, 2015માં બંનેના છૂટાછેડા થયા હતા અને ત્યારબાદ બંને વચ્ચે કાનૂની વિવાદો પણ ચર્ચામાં રહ્યા હતા.
બીજી તરફ, દલજીત કૌરે 2023માં નિખિલ પટેલ સાથે લગ્ન કર્યા હતા, પરંતુ આ સંબંધ પણ લાંબો સમય ટકી શક્યો નહોતો. હાલમાં બંને અલગ થઈ ચૂક્યા છે.
શાલીનના તાજા નિવેદનથી સ્પષ્ટ થઈ ગયું છે કે તેઓ દલજીત કૌર સાથે ફરી લગ્ન કરવાની ચર્ચાઓને સંપૂર્ણપણે નકારી રહ્યા છે અને ખોટી માહિતી ફેલાવનારાઓ સામે કડક વલણ અપનાવી રહ્યા છે.




