રેલવે ભરતીમાં ઝડપ લાવવા ટેકનોલોજી આધારિત સિસ્ટમનો ઉપયોગ, છેલ્લા એક વર્ષમાં 43,781ને મળી નોકરી: અશ્વિની વૈષ્ણવ



રેલવે ભરતીમાં ઝડપ લાવવા ટેકનોલોજી આધારિત સિસ્ટમનો ઉપયોગ, છેલ્લા એક વર્ષમાં 43,781ને મળી નોકરી: અશ્વિની વૈષ્ણવ



કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે રેલવે ભરતી પ્રક્રિયામાં ઝડપ અને પારદર્શિતા વધારવા માટે ટેકનોલોજી આધારિત સિસ્ટમને મુખ્ય સાધન તરીકે ઉપયોગ કરવાની જાહેરાત કરી છે. શુક્રવારે યોજાયેલી રેલવે ભરતી બોર્ડ (RRB)ની ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક દરમિયાન તેમણે ભરતી પ્રક્રિયાના સુધારાઓ અંગે વિગતવાર માહિતી આપી હતી.
મંત્રીના જણાવ્યા મુજબ, ભારતીય રેલવેએ ગયા નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન કુલ 47,084 ખાલી જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી અને તેમાંમાંથી 43,781 ઉમેદવારોને નોકરી આપવામાં આવી છે. આ ભરતી પ્રક્રિયા છ મુખ્ય કેટેગરીમાં કરવામાં આવી હતી, જેમાં આસિસ્ટન્ટ લોકો પાઇલટ, ટેકનિશિયન, સબ-ઇન્સ્પેક્ટર, કોન્સ્ટેબલ, જુનિયર એન્જિનિયર (JE)/DMS/CMA અને પેરામેડિકલ સ્ટાફનો સમાવેશ થાય છે.
આ ભરતીમાં સૌથી વધુ 18,799 આસિસ્ટન્ટ લોકો પાઇલટ અને 14,298 ટેકનિશિયનની નિમણૂકો કરવામાં આવી છે. ઉપરાંત 7,951 જુનિયર એન્જિનિયર અને સંબંધિત પોસ્ટ્સ, 4,208 કોન્સ્ટેબલ, 452 સબ-ઇન્સ્પેક્ટર અને 1,376 પેરામેડિકલ સ્ટાફની ભરતી પણ પૂર્ણ કરવામાં આવી છે.
અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે રેલવે ભરતી પ્રક્રિયા હવે વધુ આધુનિક બની રહી છે. તમામ વિભાગીય પરીક્ષાઓ હવે સંપૂર્ણપણે કમ્પ્યુટર આધારિત પરીક્ષા (CBT) દ્વારા લેવામાં આવશે. સાથે જ ટેબલેટ આધારિત પરીક્ષણ સિસ્ટમનો પણ વ્યાપ વધારવામાં આવશે, જેથી પરીક્ષા પ્રક્રિયા વધુ ઝડપી અને ચોક્કસ બને.
રેલવે ભરતી બોર્ડ દેશભરમાં વિશાળ સ્તરે પરીક્ષાઓનું આયોજન કરે છે, જેમાં લાખો ઉમેદવારો ભાગ લે છે. પરીક્ષા વિવિધ શહેરો અને કેન્દ્રોમાં અનેક શિફ્ટમાં લેવામાં આવે છે. ઉમેદવારોની સુવિધા માટે આ પરીક્ષાઓ હાલ 15 ભાષાઓમાં લેવામાં આવે છે.
સરકારનો હેતુ છે કે ટેકનોલોજીનો વધુ ઉપયોગ કરીને ભરતી પ્રક્રિયાને સરળ, ઝડપી અને ભ્રષ્ટાચારમુક્ત બનાવવી. રેલવે મંત્રાલયનું માનવું છે કે આ બદલાવથી ઉમેદવારોને સમયસર પરિણામ મળશે અને ભરતી પ્રક્રિયામાં વધુ કાર્યક્ષમતા આવશે.




