ICAI Ahmedabad Convocation 2026: ગુજરાતના 600થી વધુ નવસ્નાતક CAsને સર્ટિફિકેટ એનાયત


અમદાવાદના Club O7 ખાતે 12 સપ્ટેમ્બર 2026ના રોજ ICAI અમદાવાદ બ્રાન્ચ દ્વારા નવસ્નાતક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ માટે ભવ્ય કન્વોકેશન સમારોહ યોજાયો હતો. ગુજરાતભરમાંથી 600થી વધુ યુવા CAs અને તેમના પરિવારજનો આ ખાસ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

કન્વોકેશન સમારોહમાં નવસ્નાતક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા. લાંબી મહેનત, કઠિન પરીક્ષાઓ અને પ્રેક્ટિકલ ટ્રેનિંગ બાદ મળેલી આ સિદ્ધિએ યુવા CAs અને તેમના પરિવારજનોમાં ગૌરવની લાગણી જોવા મળી હતી.

કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય સચિવ રોહન ગુપ્તા તથા વિશિષ્ટ અતિથિ તરીકે ICAIના પૂર્વ પ્રમુખ CA અનિકેત સુનિલ તલાટી ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ICAIના વરિષ્ઠ સભ્યો અને અમદાવાદ બ્રાન્ચના હોદ્દેદારો પણ કાર્યક્રમમાં જોડાયા હતા.

ICAI અમદાવાદ બ્રાન્ચના ચેરમેન CA રિંકેશ શાહે નવસ્નાતક CAsને અભિનંદન પાઠવી ટેક્નોલોજી, AI, આંતરરાષ્ટ્રીય કરવેરા, GIFT City, ઉદ્યોગસાહસિકતા અને વૈશ્વિક સલાહકાર સેવાઓ જેવા ક્ષેત્રોમાં નવી તકો શોધવા પ્રેરિત કર્યા હતા.

કન્વોકેશન સમારોહ દરમિયાન સર્ટિફિકેટ મેળવતા યુવા CAs, પરિવારજનો સાથેની ખુશીની ક્ષણો અને મહેમાનોના સંબોધન સહિતની અનેક યાદગાર ક્ષણો કેમેરામાં કેદ થઈ હતી. ગુજરાતના 600થી વધુ નવસ્નાતક CAs માટે આ દિવસ તેમના વ્યાવસાયિક જીવનની નવી શરૂઆતનો યાદગાર પ્રસંગ બની રહ્યો હતો.






