Get News Alerts

Never miss breaking news updates.

Nepal Flood: નેપાળમાં મૃત્યુઆંક 547એ પહોંચ્યો; 1,500થી વધુ લોકો લાપતા

Nepal Flood: નેપાળમાં ભોટેકોશી અને ત્રિશૂલી નદીઓમાં આવેલા વિનાશક પૂર અને ફ્લેશ ફ્લડથી ભારે તબાહી સર્જાઈ છે. પૂર બાદ અત્યાર સુધીમાં 547 લોકોનાં મોત થયા હોવાનું સામે આવ્યું છે, જ્યારે...
R Gajjar
R GajjarUpdated on: 28 Aug 2026 04:56 PM IST
Nepal Flood: નેપાળમાં મૃત્યુઆંક 547એ પહોંચ્યો; 1,500થી વધુ લોકો લાપતાNepal Flood: નેપાળમાં મૃત્યુઆંક 547એ પહોંચ્યો; 1,500થી વધુ લોકો લાપતા

Nepal Flood

Nepal Flood: નેપાળમાં ભોટેકોશી અને ત્રિશૂલી નદીઓમાં આવેલા વિનાશક પૂર અને ફ્લેશ ફ્લડથી ભારે તબાહી સર્જાઈ છે. પૂર બાદ અત્યાર સુધીમાં 547 લોકોનાં મોત થયા હોવાનું સામે આવ્યું છે, જ્યારે 1,500થી વધુ લોકો લાપતા હોવાની માહિતી છે. બીજી તરફ, નેપાળમાં ફસાયેલા ભારતીય નાગરિકોને સુરક્ષિત બહાર કાઢવા માટે ભારત સરકાર દ્વારા રાહત અને બચાવ કામગીરી તેજ કરવામાં આવી છે.

547 લોકોનાં મોત, 1,500થી વધુ લાપતા

નેપાળના રસુવા જિલ્લામાં ભોટેકોશી નદીમાં આવેલા પૂરથી સૌથી વધુ નુકસાન થયું છે. અત્યાર સુધીમાં 547 મૃતદેહો મળી આવ્યા હોવાનું જણાવાયું છે. જ્યારે 1,500થી વધુ લોકો હજુ લાપતા હોવાની માહિતી સામે આવી છે. રાહત અને બચાવ કામગીરી દરમિયાન 1,403 લોકોને ઈજાગ્રસ્ત હાલતમાં બચાવવામાં આવ્યા છે. કાઠમંડુ ખીણની વિવિધ હોસ્પિટલોમાં સારવાર બાદ 94 જેટલા ઘાયલોને રજા પણ આપવામાં આવી છે.

290 ભારતીય નાગરિકોનો સંપર્ક નથી

નેપાળમાં સર્જાયેલી આ કુદરતી આફત વચ્ચે 290થી વધુ ભારતીય નાગરિકો સાથે સંપર્ક થઈ શક્યો નથી. તેમની શોધખોળ માટે ભારતીય અને નેપાળી તંત્ર દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા મુજબ, ચીન તરફના વિસ્તારમાં હાજર આશરે 400 ભારતીય નાગરિકો સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે. નેપાળમાંથી બચાવવામાં આવેલા ભારતીયોને પરત ભારત લાવવાની વ્યવસ્થા પણ ભારતીય સરકાર અને ભારતીય દૂતાવાસ દ્વારા કરવામાં આવી રહી છે.

ત્રિશૂલી હાઇડ્રોપાવરની ટનલમાંથી 350 લોકોનું રેસ્ક્યુ

ફ્લેશ ફ્લડ દરમિયાન ત્રિશૂલી હાઇડ્રોપાવરની ટનલમાં ફસાયેલા 350 જેટલા કામદારો અને કર્મચારીઓને નેપાળી સેનાએ સુરક્ષિત બહાર કાઢ્યા છે. આ હાઇડ્રોપાવર પ્રોજેક્ટમાં કેટલાક ભારતીય કામદારો પણ કામ કરતા હોવાનું સામે આવ્યું છે. નેપાળી સેનાની ટીમે લાંબી કામગીરી બાદ ટનલમાં ફસાયેલા તમામ લોકોને બહાર કાઢ્યા હતા.

121 વિદેશી પ્રવાસીઓનું રેસ્ક્યુ, 85 ભારતીય

નેપાળ ટુરિઝમ બોર્ડના જણાવ્યા અનુસાર, 28 ઓગસ્ટે બપોરે 3:30 વાગ્યા સુધી અસરગ્રસ્ત વિસ્તારોમાંથી 121 વિદેશી પ્રવાસીઓને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. આમાં સૌથી વધુ 85 ભારતીય નાગરિકોનો સમાવેશ થાય છે. ઉપરાંત ચીનના 16, દક્ષિણ કોરિયાના 9, અમેરિકા અને રશિયાના 2-2 તથા ઇટાલીના 2 નાગરિકોને પણ બચાવવામાં આવ્યા છે. બલ્ગેરિયા અને સ્વિટ્ઝર્લેન્ડના એક-એક નાગરિકનો પણ રેસ્ક્યુ કરવામાં આવ્યો છે.

લેન્ડે નદીનો પ્રવાહ અટકતાં કૃત્રિમ તળાવનો ખતરો

નેપાળ સરકાર દ્વારા સેટેલાઇટ તસવીરોના વિશ્લેષણ બાદ વધુ એક ચિંતાજનક માહિતી સામે આવી છે. રસુવાગઢી સરહદથી આશરે 18 કિલોમીટર ઉપર લેન્ડે નદીનો પ્રવાહ સંપૂર્ણપણે અટકી ગયો હોવાનું જણાવાયું છે. નદીના પ્રવાહમાં આ અવરોધના કારણે આસપાસના વિસ્તારમાં એક અસ્થાયી તળાવ બની ગયું છે. જો આ કુદરતી તળાવનો બંધ તૂટી જાય તો નીચાણવાળા વિસ્તારોમાં ફરીથી અચાનક અને વિનાશક પૂર આવી શકે છે. જેને પગલે નેપાળ સરકારે લોકોને સાવચેત રહેવાની ચેતવણી આપી છે.

ભારતે રાહત કામગીરી તેજ કરી

નેપાળમાં ચાલી રહેલી વિનાશક સ્થિતિ વચ્ચે ભારત સરકાર દ્વારા પણ મદદનો હાથ લંબાવવામાં આવ્યો છે. ભારતની ત્રીજી રાહત ઉડાન નેપાળ માટે રવાના કરવામાં આવી છે. અત્યાર સુધીમાં ભારત દ્વારા આશરે 60 ટન રાહત સામગ્રી નેપાળ મોકલવામાં આવી હોવાનું વિદેશ મંત્રાલયે જણાવ્યું છે. ભારતની ટીમો નેપાળમાં રાહત અને બચાવ કામગીરીમાં મદદ કરી રહી છે. ફસાયેલા ભારતીયોને સુરક્ષિત રીતે બહાર કાઢવા અને તેમને વહેલી તકે ભારત પરત લાવવાનું મુખ્ય ફોકસ છે. જરૂરિયાત મુજબ રેસ્ક્યુ અને મેડિકલ ટીમ પણ નેપાળ મોકલવાની તૈયારી કરવામાં આવી રહી છે.

હજુ પણ અનેક લોકોની શોધખોળ ચાલુ

નેપાળમાં પૂરની વિનાશક સ્થિતિ બાદ અનેક વિસ્તારોમાં સંપર્ક વ્યવસ્થા અને રસ્તાઓને નુકસાન થયું છે. જેના કારણે બચાવ કામગીરીમાં પણ પડકારો ઊભા થયા છે. હાલમાં નેપાળી સેના, સ્થાનિક તંત્ર અને અન્ય બચાવ એજન્સીઓ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં સતત રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. બીજી તરફ, લાપતા ભારતીય નાગરિકો સહિત અન્ય લોકોની સલામતી માટે પણ શોધખોળ અને સંપર્ક સ્થાપિત કરવાના પ્રયાસો ચાલુ છે.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. [email protected]