PM JanDhan Yojana: 12 વર્ષમાં જનધન યોજનાનો વ્યાપમાં વધારો, નાણાકીય સમાવેશને મળી રહી છે ગતિ


PM JanDhan Yojana: 12 વર્ષમાં જનધન યોજનાનો વ્યાપમાં વધારો, નાણાકીય સમાવેશને મળી રહી છે ગતિ


PM JanDhan Yojana: કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી પ્રધાનમંત્રી જનધન યોજના (PMJDY) હેઠળ દેશભરમાં ખોલવામાં આવેલા બેંક ખાતાની સંખ્યા 59 કરોડને પાર પહોંચી ગઈ છે. નાણાં મંત્રાલય દ્વારા ગુરુવારે જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર, આ ખાતાઓમાં કુલ જમા રકમ વધીને ₹3.17 લાખ કરોડ થઈ ગઈ છે.
12 વર્ષમાં જનધન યોજનાનો વ્યાપ વધ્યો
PM જનધન યોજનાની શરૂઆત 28 ઓગસ્ટ 2014ના રોજ કરવામાં આવી હતી. યોજનાનો મુખ્ય હેતુ એવા લોકો સુધી બેંકિંગ અને નાણાકીય સેવાઓ પહોંચાડવાનો છે, જેઓ અગાઉ બેંકિંગ વ્યવસ્થાથી બહાર હતા.
59 કરોડથી વધુ બેંક ખાતા
નાણાં મંત્રાલયના જણાવ્યા મુજબ, PMJDY હેઠળ ખોલાયેલા ખાતાઓની સંખ્યા હવે 59 કરોડથી વધુ થઈ ગઈ છે. આ ખાતાઓમાં 19 ઓગસ્ટ 2026 સુધીની સ્થિતિ પ્રમાણે કુલ ₹3.17 લાખ કરોડ જમા છે.
ગ્રામ્ય અને અર્ધ-શહેરી વિસ્તારોનો મોટો હિસ્સો
જનધન ખાતાઓમાંથી આશરે 78 ટકા ખાતા ગ્રામ્ય અને અર્ધ-શહેરી વિસ્તારોમાં ખોલવામાં આવ્યા છે. જ્યારે કુલ ખાતાઓમાંથી 56 ટકા ખાતા મહિલાઓના નામે છે. આ આંકડા નાણાકીય સમાવેશમાં મહિલાઓ અને ગ્રામ્ય પરિવારોની વધતી ભાગીદારી દર્શાવે છે.
પ્રતિ ખાતા સરેરાશ જમા રકમ ₹5,356
19 ઓગસ્ટ 2026 સુધીમાં દરેક જનધન ખાતામાં સરેરાશ ₹5,356 જમા હોવાનું મંત્રાલયે જણાવ્યું છે. છેલ્લા 12 વર્ષમાં પ્રતિ ખાતા સરેરાશ જમા રકમમાં 3.4 ગણો વધારો થયો છે. સરકારના જણાવ્યા પ્રમાણે આ ખાતાઓનો વધતો ઉપયોગ અને લોકોમાં બચતની ટેવ વિકસતી હોવાનો સંકેત છે.
RuPay કાર્ડ સાથે અકસ્માત વીમો
જનધન ખાતા સાથે મફત RuPay ડેબિટ કાર્ડ આપવામાં આવે છે. તેમાં ₹2 લાખ સુધીનું અકસ્માત વીમા કવર ઉપલબ્ધ છે. આ ઉપરાંત, પાત્ર ખાતાધારકોને ₹10,000 સુધીની ઓવરડ્રાફ્ટ સુવિધા પણ મળી શકે છે, જે આકસ્મિક નાણાકીય જરૂરિયાતમાં મદદરૂપ બની શકે છે.
ન્યૂનતમ બેલેન્સની જરૂરિયાત નહીં
નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીના જણાવ્યા અનુસાર, જનધન ખાતામાં મિનિમમ બેલેન્સ રાખવાની જરૂર નથી અને કોઈ મેન્ટેનન્સ ચાર્જ પણ લાગતો નથી. આ યોજનાથી ખાસ કરીને આર્થિક રીતે નબળા વર્ગોને બેંકિંગ, વીમા અને પેન્શન જેવી સેવાઓ સાથે જોડવામાં મદદ મળી છે.
નાણાકીય સમાવેશને મળી ગતિ
સરકારનું કહેવું છે કે જનધન યોજના દ્વારા દેશના ગરીબ અને વંચિત વર્ગ સુધી બેંકિંગ સેવાઓ પહોંચાડવામાં મદદ મળી છે. સાથે જ વીમા અને પેન્શન યોજનાઓનો લાભ વધુ લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ પણ ચાલુ છે.
આ પણ વાંચો : Jamnagar: મનપા કમિશનરનો સરપ્રાઇઝ રાઉન્ડ, દિગ્વિજય પ્લોટ અને કાના નગરમાં સઘન ચેકિંગ



