કેપ્ટિવ સોલાર પ્લાન્ટના કર્ટેલમેન્ટથી MSME ઉદ્યોગકારો પરેશાન, DGVCL કચેરીએ પહોંચીને રજૂઆત



Captive Solar Curtailment Gujarat
કેપ્ટિવ સોલાર પ્લાન્ટના કર્ટેલમેન્ટથી MSME ઉદ્યોગકારો પરેશાન, DGVCL કચેરીએ પહોંચીને રજૂઆત



Captive Solar Curtailment Gujarat
Captive Solar Curtailment Gujarat: ઉર્જા વિભાગની પૂર્વ મંજૂરી બાદ સ્થાપિત કરવામાં આવેલા કેપ્ટિવ સોલાર પ્લાન્ટમાં વારંવાર કર્ટેલમેન્ટ થવાના મુદ્દે MSME ઉદ્યોગકારોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. સોલાર પ્લાન્ટમાંથી વીજ ઉત્પાદન વારંવાર અટકાવવામાં આવતું હોવાના કારણે ઉદ્યોગકારોને આર્થિક નુકસાન થઈ રહ્યું હોવાની રજૂઆત સાથે મોટી સંખ્યામાં ઉદ્યોગકારો DGVCL કચેરી ખાતે પહોંચ્યા હતા.

સોલાર પાવર જનરેશન અટકતા ઉદ્યોગકારોને ફટકો
MSME ઉદ્યોગકારોના જણાવ્યા અનુસાર, નિયમોનું પાલન કરીને અને ઉર્જા વિભાગની પૂર્વ મંજૂરી બાદ કેપ્ટિવ સોલાર પ્લાન્ટ સ્થાપવામાં આવ્યા છે. તેમ છતાં વારંવાર સોલાર પાવર જનરેશનમાં કર્ટેલમેન્ટ થવાથી વીજ ઉત્પાદન અટકી જાય છે. વીજ ઉત્પાદન બંધ રહેતા ઉદ્યોગકારોને રોજિંદા ધોરણે આર્થિક નુકસાન સહન કરવું પડી રહ્યું હોવાની રજૂઆત કરવામાં આવી હતી. ઉદ્યોગકારોએ સોલારથી પેદા થતી વીજળીનો મહત્તમ ઉપયોગ થઈ શકે તેવી વ્યવસ્થા કરવાની માંગ કરી છે.
DGVCL કચેરીએ ઉદ્યોગકારોની રજૂઆત
સમસ્યાના કાયમી ઉકેલની માંગ સાથે મોટી સંખ્યામાં MSME ઉદ્યોગકારો DGVCL કચેરી ખાતે પહોંચ્યા હતા. ઉદ્યોગકારોના પ્રતિનિધિમંડળે DGVCLના MD કમલેશ રાઠોડ સમક્ષ સમગ્ર મામલે રજૂઆત કરી હતી. MD કમલેશ રાઠોડે MSME ઉદ્યોગકારોની અલગ-અલગ રજૂઆતો સાંભળી હતી અને સમસ્યા અંગેની વિગતો મેળવી હતી.
સોલાર પાવર 100 ટકા જનરેશનની માંગ
ઉદ્યોગકારોની મુખ્ય રજૂઆત એ હતી કે સોલાર પ્લાન્ટમાંથી શક્ય તેટલું 100 ટકા વીજ ઉત્પાદન થઈ શકે તે માટે રાજ્ય સ્તરે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે. વારંવાર પાવર જનરેશન અટકાવવાથી કેપ્ટિવ સોલાર પ્લાન્ટ સ્થાપવાનો હેતુ જ અસરગ્રસ્ત થતો હોવાનો ઉદ્યોગકારોએ દાવો કર્યો હતો. તેમના જણાવ્યા મુજબ, સોલાર પાવર જનરેશનમાં થતી અડચણ માત્ર ઉદ્યોગોના ખર્ચ અને ઉત્પાદનને અસર કરતી નથી, પરંતુ સ્વચ્છ ઊર્જાના ઉપયોગ અને પર્યાવરણીય લક્ષ્યો પર પણ તેની અસર પડી શકે છે.
રજૂઆત સ્ટેટ લોડ ડિસ્પેચ સેન્ટર સુધી પહોંચાડાશે
ઉદ્યોગકારોની રજૂઆતને ધ્યાનમાં લઈને આ સમગ્ર મુદ્દો વડોદરા ખાતે આવેલા સ્ટેટ લોડ ડિસ્પેચ સેન્ટર (SLDC) સમક્ષ મોકલવામાં આવશે તેવી માહિતી આપવામાં આવી છે. સોલાર પાવર કર્ટેલમેન્ટની સમસ્યા અંગે રાજ્ય સ્તરે યોગ્ય નિર્ણય અને કાયમી ઉકેલ આવે તેવી ઉદ્યોગકારોએ આશા વ્યક્ત કરી છે. હવે ઉદ્યોગકારોની રજૂઆત બાદ રાજ્ય સ્તરે આ મુદ્દે શું નિર્ણય લેવામાં આવે છે અને કેપ્ટિવ સોલાર પ્લાન્ટમાં વારંવાર થતું કર્ટેલમેન્ટ ઘટાડવા માટે શું પગલાં લેવામાં આવે છે તેના પર સૌની નજર છે.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. [email protected]



