Rajkot: લોધિકા સંઘની ચૂંટણીમાં રસાકસી, 5 બેઠકો માટે આજે મતદાન; પ્રશાંત કોરાટ અને જયેશ રાદડિયાની શાખ દાવ પર



Rajkot
Rajkot: લોધિકા સંઘની ચૂંટણીમાં રસાકસી, 5 બેઠકો માટે આજે મતદાન; પ્રશાંત કોરાટ અને જયેશ રાદડિયાની શાખ દાવ પર



Rajkot
Rajkot: રાજકોટ લોધિકા સંઘની ચૂંટણીનો મામલો હવે નિર્ણાયક તબક્કામાં પહોંચ્યો છે. સહકારના ક્ષેત્રમાં ‘સરતાજ’ કોણ બનશે તેનો ફેસલો હવે મતદાન અને મતગણતરી બાદ થશે. આ ચૂંટણીમાં ભાજપના સંગઠન મહામંત્રી પ્રશાંત કોરાટ અને પૂર્વ કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાની રાજકીય શાખ પણ દાવ પર હોવાનું માનવામાં આવી રહ્યું છે. કુલ 16 બેઠકોમાંથી 11 બેઠકો બિનહરીફ થતાં હવે બાકી રહેલી 5 બેઠકો માટે મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.
5 બેઠકો માટે સીધી ટક્કર
રાજકોટ લોધિકા સંઘની બાકી રહેલી બેઠકો પર ઉમેદવારો વચ્ચે સીધી ટક્કર જોવા મળી રહી છે. પૂર્વ રાજ્ય મંત્રી અરવિંદ રૈયાણી પોતાની કુવાડવા બેઠક બિનહરીફ કરાવી શક્યા નથી. નીતિન ચોવટિયાએ ઉમેદવારી પરત ન ખેંચતા હવે આ બેઠક પર પણ ચૂંટણી યોજાઈ રહી છે.
મુખ્ય મુકાબલા:
અરવિંદ રૈયાણી સામે નીતિન ચોવટિયા
પૃથ્વીસિંહ ઉર્ફે ઘોઘુભા જાડેજા સામે વિજય સખિયા
બાબુભાઈ નસિત સામે હરજીભાઈ પીપળીયા
ધીરુભાઈ રોકડ સામે મહેશ આસોદરિયા
નીતિન રૈયાણી સામે અનિરુદ્ધસિંહ જાડેજા
ભાજપે ઉમેદવારો માટે વ્હીપ જાહેર કર્યો
ભાજપ દ્વારા પોતાના સમર્થિત ઉમેદવારોને મત આપવા માટે વ્હીપ જાહેર કરવામાં આવ્યો છે. કુવાડવા બેઠક માટે અરવિંદ રૈયાણી, માધાપર બેઠક માટે પૃથ્વીસિંહ ઉર્ફે ઘોઘુભા જાડેજા, ત્રંબા બેઠક માટે નીતિન રૈયાણી, હલેન્ડા બેઠક માટે મહેશ આસોદરિયા અને ખોખળદડ બેઠક માટે બાબુ નસિતને મત આપવા વ્હીપ જાહેર કરાયો છે.
માધાપર બેઠક પર રસાકસી
માધાપર જૂથ બેઠક પર પૃથ્વીસિંહ ઉર્ફે ઘોઘુભા જાડેજા સામે વિજય સખિયાએ દાવેદારી નોંધાવી છે. વિજય સખિયા દ્વારા પોલીસ પ્રોટેક્શનની માંગ પણ કરવામાં આવી હતી, જેના પગલે શહેર પોલીસ દ્વારા એક પોલીસ કોન્સ્ટેબલની ફાળવણી કરવામાં આવી છે.
માત્ર 21 મતદારો નક્કી કરશે 5 ઉમેદવારોનું ભાવિ
આ ચૂંટણીમાં માત્ર 21 મતદાતાઓ 5 બેઠકોના ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે. માધાપર જૂથ બેઠક સિવાયની અન્ય તમામ જૂથ બેઠકોમાં ચાર-ચાર મતદાતાઓ છે અને દરેક જૂથમાં બે-બે મતદારો ચૂંટણી લડી રહેલા ઉમેદવારોના પક્ષમાં મતદાન કરશે.
બપોરે 2 વાગ્યા સુધી મતદાન, આવતીકાલે મતગણતરી
મતદાનની પ્રક્રિયા બપોરે 2 વાગ્યા સુધી ચાલશે. ત્યારબાદ આવતીકાલે મતગણતરી હાથ ધરવામાં આવશે. જો કોઈ બેઠક પર બંને ઉમેદવારોને સમાન મત મળે તો ચિઠ્ઠી નાખીને વિજેતા જાહેર કરવામાં આવશે.
રાજકોટ જિલ્લા ભાજપ તેમજ પ્રદેશ ભાજપ દ્વારા ચૂંટણી ટાળવા અને ડેમેજ કંટ્રોલના પ્રયાસો કરવામાં આવ્યા હોવા છતાં આખરે ચૂંટણી યોજાઈ રહી છે. સંગઠન મહામંત્રી અનિરુદ્ધ દવે સહિતના આગેવાનો દ્વારા પણ ચૂંટણી ન યોજાય તે માટે પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ સમજૂતી ન થતાં હવે મતદાનથી જ ફેસલો થશે.
આ પણ વાંચો : Dahod: પોલીસ એલર્ટ, દિલ્હી-મુંબઈ નેશનલ કોરિડોર પર પથ્થરમારાની ઘટનાઓ બાદ સુરક્ષા વધારાઈ




