નેપાળ પૂરની કટોકટીમાં ફસાયેલા ગુજરાતીઓની વહારે રાજ્ય સરકાર, 12 લોકો ગુમ હોવાના અહેવાલ



Nepal Flood Gujarati Tourists
નેપાળ પૂરની કટોકટીમાં ફસાયેલા ગુજરાતીઓની વહારે રાજ્ય સરકાર, 12 લોકો ગુમ હોવાના અહેવાલ



Nepal Flood Gujarati Tourists
Nepal Flood Gujarati Tourists: પડોશી દેશ નેપાળમાં અચાનક સર્જાયેલી ભીષણ પૂરની સ્થિતિ વચ્ચે ત્યાં ફસાયેલા ગુજરાતીઓની સુરક્ષા માટે ગુજરાત સરકાર દ્વારા કામગીરી તેજ કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યનું વહીવટી તંત્ર સતત સમગ્ર સ્થિતિનું મોનિટરિંગ કરી રહ્યું છે. અસરગ્રસ્ત ગુજરાતીઓને શક્ય તેટલી વહેલી તકે સુરક્ષિત પરત લાવવા માટે કેન્દ્ર સરકાર અને વિદેશ મંત્રાલય સાથે સંકલન કરવામાં આવી રહ્યું છે.
નેપાળમાં ફસાયેલા ગુજરાતીઓ પર સરકારની નજર
નેપાળમાં સર્જાયેલી ગંભીર પૂર અને કટોકટીની સ્થિતિને પગલે ગુજરાતના પ્રવાસીઓની સુરક્ષા અંગે રાજ્ય સરકાર સક્રિય બની છે. પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ પ્રધાનમંત્રી કાર્યાલય નેપાળ સરકાર સાથે સતત સંપર્કમાં છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ નેપાળમાં ફસાયેલા ગુજરાતીઓ સહિત ભારતીય નાગરિકોની સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે. વિદેશ મંત્રી એસ. જયશંકર અને વિદેશ મંત્રાલય દ્વારા પણ જરૂરી માહિતી મેળવવા તથા સહાય પહોંચાડવા માટે કામગીરી કરવામાં આવી રહી છે.
ગુજરાતના આશરે 12 લોકો ગુમ હોવાના અહેવાલ
રાજ્ય સરકારને અત્યાર સુધી મળેલી માહિતી મુજબ ગુજરાતના વિવિધ જિલ્લાઓના આશરે 12 લોકો ગુમ હોવાના અહેવાલ છે. તેમાં અમદાવાદ, આણંદ, રાજકોટ, વલસાડ, સુરત, ખેડા, અમરેલી, ગાંધીનગર અને વડોદરા જિલ્લાના પ્રવાસીઓનો સમાવેશ થાય છે. જે પરિવારો દ્વારા પોતાના સ્વજનો અંગે વહીવટી તંત્રનો સંપર્ક કરવામાં આવ્યો છે, તેમની વિગતો એકત્ર કરીને જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જોકે, નેપાળમાં અનેક વિસ્તારોમાં સંપર્ક વ્યવસ્થા અને માર્ગો પ્રભાવિત હોવાથી ચોક્કસ માહિતી મેળવવામાં પડકારો ઊભા થયા છે.
મુખ્યમંત્રી સતત મોનિટરિંગ કરી રહ્યા છે
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સમગ્ર સ્થિતિ અંગે સતત માહિતી મેળવી રહ્યા છે. તેઓ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તેમજ વિદેશ મંત્રાલય સાથે સંપર્કમાં રહીને ગુજરાતના પ્રવાસીઓ અંગેની માહિતીની આપ-લે કરી રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા નેપાળમાં ફસાયેલા ગુજરાતીઓને શક્ય તેટલી વહેલી તકે સુરક્ષિત રીતે પરત લાવવા માટે કેન્દ્ર સરકાર સાથે સંકલન કરીને તમામ સંભવિત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
રાજ્ય સરકારે હેલ્પલાઇન નંબર જાહેર કર્યા
નેપાળમાં ફસાયેલા ગુજરાતીઓ અંગે માહિતી મેળવવા અથવા કોઈ પરિવારને મદદની જરૂર હોય તો રાજ્ય સરકારે હેલ્પલાઇન નંબરો જાહેર કર્યા છે. ગાંધીનગર સ્થિત સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર દ્વારા પણ હેલ્પલાઇન સેવા કાર્યરત કરવામાં આવી છે.
હેલ્પલાઇન નંબર
079-23251900
9978405304
1070
પરિવારો આ નંબરો પર સંપર્ક કરીને નેપાળમાં રહેલા પોતાના સ્વજનો અંગે માહિતી આપી શકે છે અને જરૂરી મદદ મેળવી શકે છે.
‘દરેક ગુજરાતી પરિવારની સાથે સરકાર ઊભી છે’
પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું કે આ દુઃખ અને કટોકટીની ઘડીમાં રાજ્ય સરકાર દરેક અસરગ્રસ્ત ગુજરાતી પરિવારની સાથે છે. કેન્દ્ર સરકાર સાથે મળીને અસરગ્રસ્ત લોકોને સુરક્ષિત પરત લાવવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. નેપાળમાં પૂર બાદ સર્જાયેલી પરિસ્થિતિ વચ્ચે ગુજરાતના જે પરિવારોના સ્વજનો ત્યાં પ્રવાસે ગયા છે, તેઓમાં ચિંતા જોવા મળી રહી છે. સરકાર અને વહીવટી તંત્ર દ્વારા વધુ માહિતી મળતાની સાથે પરિવારજનોને જાણ કરવામાં આવશે.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. [email protected]



