રક્ષાબંધન પર નહીં ચંદ્રગ્રહણની અસર, નહીં ભદ્રાનો અવરોધ; મંદિરોમાં દર્શન પણ રાબેતા મુજબ: જાણીતા જ્યોતિષી ચેતન પટેલ



Raksha Bandhan 2026
રક્ષાબંધન પર નહીં ચંદ્રગ્રહણની અસર, નહીં ભદ્રાનો અવરોધ; મંદિરોમાં દર્શન પણ રાબેતા મુજબ: જાણીતા જ્યોતિષી ચેતન પટેલ



Raksha Bandhan 2026
જાણીતા જ્યોતિષી ચેતન પટેલ: 28 ઓગસ્ટ, શુક્રવારે શ્રાવણ પૂર્ણિમા સાથે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર ઉજવાશે. આ વર્ષે રક્ષાબંધન પર ચંદ્રગ્રહણ કે ભદ્રાનો કોઈ અવરોધ નહીં હોવાથી બહેનો નિર્ધારિત શુભ મુહૂર્તમાં ભાઈને રાખડી બાંધી શકશે. સાથે જ અંબાજી સહિતના મોટા ધાર્મિક સ્થળોએ ભક્તોને નિયમિત રીતે દર્શનનો લાભ મળશે. જાણીતા જ્યોતિષી ચેતન પટેલના જણાવ્યા અનુસાર, 28 ઓગસ્ટની રાત્રે આંશિક ચંદ્રગ્રહણ થવાનું છે. આ વર્ષનું આ છેલ્લું ચંદ્રગ્રહણ ગણાશે અને કેટલીક જગ્યાએ ચંદ્રનો રંગ લાલાશ પડતો દેખાવાને કારણે તેને ‘બ્લડ મૂન’ જેવી ઘટના તરીકે પણ જોવામાં આવશે. જોકે આ ચંદ્રગ્રહણ ભારતમાં દૃશ્યમાન નહીં હોવાથી ભારતમાં તેનો ધાર્મિક સૂતક કે વેધ માન્ય રહેશે નહીં.
ભારતમાં સૂતક લાગુ નહીં પડે
તેમણે જણાવ્યું કે વૈદિક પરંપરા મુજબ જે વિસ્તારમાં ગ્રહણ દૃશ્યમાન ન હોય ત્યાં સામાન્ય રીતે ગ્રહણનો સૂતક કાળ ધાર્મિક રીતે માન્ય ગણાતો નથી. તેથી ભારતમાં રક્ષાબંધનના દિવસે ગ્રહણના કારણે પૂજા-પાઠ, મંદિરમાં દર્શન, આરતી, ભોગ તથા અન્ય ધાર્મિક વિધિઓ પર કોઈ પ્રતિબંધ રહેશે નહીં. આ ઉપરાંત ખાવા-પીવા અંગે પણ ગ્રહણના નામે કોઈ વિશેષ રોકાણ લાગુ પડશે નહીં. તેમણે લોકોને સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓને બદલે શાસ્ત્રીય નિયમો અને સ્થાનિક પંચાંગને પ્રાધાન્ય આપવા અપીલ કરી છે.
સતત બીજા વર્ષે ભદ્રાનો અવરોધ નહીં
આ વર્ષે રક્ષાબંધન પર બીજી મહત્વની બાબત એ છે કે ભદ્રા સૂર્યોદય પહેલાં જ પૂર્ણ થઈ જશે. એટલે રાખડી બાંધવામાં ભદ્રાનો અવરોધ રહેશે નહીં. નોંધનીય છે કે 2025માં પણ રક્ષાબંધનના દિવસે ભદ્રા સૂર્યોદય પહેલાં પૂર્ણ થઈ ગઈ હતી. આમ, 2026માં સતત બીજા વર્ષે રક્ષાબંધન ભદ્રાના અવરોધ વિના ઉજવાશે. રક્ષાબંધનના દિવસે રાખડી બાંધવાનો જણાવાયેલો શુભ સમય સવારે 5:57થી 9:48 વાગ્યા સુધી રહેશે. બહેનો આ સમયગાળામાં ભાઈને રાખડી બાંધીને આરતી કરી શકે છે અને પરંપરાગત રીતે તહેવારની ઉજવણી કરી શકે છે.
શ્રાવણ પૂર્ણિમાએ ધાર્મિક કાર્યોનું વિશેષ મહત્ત્વ
ચેતન પટેલે વધુમાં જણાવ્યું કે શ્રાવણ માસ ભગવાન શિવની ઉપાસના માટે વિશેષ પવિત્ર માનવામાં આવે છે. આ સમયગાળામાં મહામૃત્યુંજય જપ, રુદ્રાભિષેક, શિવપૂજન, વૃક્ષારોપણ તથા જરૂરિયાતમંદોને દાન જેવા સાત્વિક કાર્યોનું ધાર્મિક મહત્ત્વ વધે છે. આમ, 28 ઓગસ્ટે શ્રાવણ પૂર્ણિમા અને રક્ષાબંધનનો તહેવાર ચંદ્રગ્રહણના સૂતક તથા ભદ્રાના અવરોધ વિના ઉજવી શકાશે. અંબાજી સહિતના ધાર્મિક સ્થળોએ પણ ભક્તો નિયમિત રીતે દર્શન અને પૂજા-અર્ચનાનો લાભ લઈ શકશે. જ્યોતિષી ચેતન પટેલે અંતમાં જણાવ્યું કે, “ગ્રહણ અંગેની અફવાઓથી ગભરાવાની જરૂર નથી. ભારતમાં ચંદ્રગ્રહણ દૃશ્યમાન ન હોવાથી રક્ષાબંધનના દિવસે સૂતક માન્ય નથી. શાસ્ત્રીય નિયમોને સમજીને ભક્તોએ શ્રદ્ધા અને આનંદપૂર્વક તહેવારની ઉજવણી કરવી જોઈએ.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. [email protected]



