મણિપુરમાં 6 નાગા લોકોના મૃતદેહ મળતા ફરી ભડકી હિંસા, ઇમ્ફાલમાં તણાવપૂર્ણ સ્થિતિ



મણિપુરમાં 6 નાગા લોકોના મૃતદેહ મળતા ફરી ભડકી હિંસા, ઇમ્ફાલમાં તણાવપૂર્ણ સ્થિતિ



મણિપુરમાં શાંતિ સ્થાપવાના પ્રયાસો વચ્ચે ફરી એકવાર હિંસાની ઘટના સામે આવી છે. નાગા સમુદાયના 6 લોકોના મૃતદેહ મળ્યા બાદ રાજ્યની રાજધાની ઇમ્ફાલમાં ભારે તણાવનો માહોલ સર્જાયો છે. ઘટનાથી રોષે ભરાયેલા લોકોએ હોસ્પિટલ બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું, જેના પગલે પરિસ્થિતિ કાબૂમાં લેવા પોલીસે આંસુ ગેસના શેલ છોડવા પડ્યા હતા.
મળતી માહિતી મુજબ, 13 મેના રોજ એક સશસ્ત્ર જૂથે કુલ 20 લોકોનું અપહરણ કર્યું હતું. જેમાં 14 કુકી અને 6 નાગા સમુદાયના લોકો સામેલ હતા. એક દિવસ અગાઉ 14 કુકી લોકોને મુક્ત કરવામાં આવ્યા હતા, પરંતુ બુધવારે સેનાપતિ જિલ્લામાંથી નાગા સમુદાયના 6 લોકોના મૃતદેહ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.
મૃતદેહ મળ્યાની જાણ થતા મોટી સંખ્યામાં લોકો હોસ્પિટલ બહાર એકત્રિત થયા હતા અને સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો. આ દરમિયાન કેટલાક પ્રદર્શનકારીઓએ બેરિકેડ્સ તોડી નાખ્યા હતા. સ્થિતિ વધુ વણસતા પોલીસે ભીડને વિખેરવા માટે આંસુ ગેસના શેલ છોડ્યા હતા. કેટલાક વિસ્તારોમાં આગચંપીની ઘટનાઓ પણ સામે આવી હોવાનું જાણવા મળ્યું છે.
ઘટનાની વિવિધ રાજકીય અને સામાજિક સંગઠનો દ્વારા કડક નિંદા કરવામાં આવી છે. મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ કે. સંગમાએ આ ઘટનાને અત્યંત દુઃખદ અને નિંદનીય ગણાવી દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. તેમણે જણાવ્યું હતું કે નિર્દોષ લોકોની હત્યા કોઈ પણ સંજોગોમાં સ્વીકાર્ય નથી અને જવાબદારોને કાયદાના કટઘરામાં લાવી કડક સજા થવી જોઈએ.
પ્રશાસને લોકોને શાંતિ જાળવવા અને અફવાઓથી દૂર રહેવા અપીલ કરી છે. સુરક્ષા દળો સમગ્ર મામલાની તપાસમાં જોડાયા છે અને સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવામાં આવી છે.
મણિપુરમાં લાંબા સમયથી ચાલી રહેલા જાતીય તણાવ વચ્ચે આ ઘટના રાજ્યમાં ફરી એકવાર અશાંતિનું કારણ બની છે, જેના કારણે કાયદો અને વ્યવસ્થા જાળવવો પ્રશાસન માટે મોટો પડકાર બની રહ્યો છે.




