લેફ્ટનન્ટ જનરલ ધીરજ શેઠ બનશે દેશના નવા થલસેનાધ્યક્ષ, 30 જૂને સંભાળશે કમાન



લેફ્ટનન્ટ જનરલ ધીરજ શેઠ બનશે દેશના નવા થલસેનાધ્યક્ષ, 30 જૂને સંભાળશે કમાન



કેન્દ્ર સરકાર અને રક્ષા મંત્રાલયે ભારતીય સેનાના નવા થલસેનાધ્યક્ષ તરીકે લેફ્ટનન્ટ જનરલ ધીરજ શેઠની નિમણૂકને મંજૂરી આપી છે. રાષ્ટ્રપતિની મંજૂરી બાદ જારી કરાયેલા સત્તાવાર આદેશ મુજબ તેઓ 30 જૂન, 2026ના રોજ વર્તમાન સેનાપ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી પાસેથી કાર્યભાર સંભાળશે. તેમનો કાર્યકાળ 31 ઓગસ્ટ, 2028 સુધી રહેશે.
લેફ્ટનન્ટ જનરલ ધીરજ શેઠ ભારતીય સેનાની પ્રતિષ્ઠિત આર્મર્ડ કોર્પ્સના અધિકારી છે અને ડિસેમ્બર 1986માં સેનામાં કમિશન્ડ થયા હતા. બખ્તરબંદ યુદ્ધની વ્યૂહરચના અને મિકેનાઇઝ્ડ વોરફેર ક્ષેત્રે તેમની વિશેષ ઓળખ છે. પોતાના લાંબા સૈન્ય કારકિર્દી દરમિયાન તેમણે રણપ્રદેશમાં આર્મર્ડ રેજિમેન્ટ, મેદાની વિસ્તારોમાં આર્મર્ડ બ્રિગેડ તેમજ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ વિરોધી દળનું સફળ નેતૃત્વ કર્યું છે.
તેઓ ભારતીય સેનાની શક્તિશાળી 'સુદર્શન ચક્ર કોર્પ્સ'ના કમાન્ડર તરીકે પણ રહી ચૂક્યા છે. ઉપરાંત દિલ્હી એરિયાના જનરલ ઓફિસર કમાન્ડિંગ (GOC) તરીકે અનેક મહત્વપૂર્ણ વ્યૂહાત્મક કાર્યક્રમોની જવાબદારી સંભાળી હતી. આંતરરાષ્ટ્રીય સ્તરે પણ તેમણે અંગોલામાં સંયુક્ત રાષ્ટ્ર (UN)ના શાંતિ મિશનમાં ઓપરેશન્સ ઓફિસર તરીકે સેવા આપી છે.
હાલમાં ધીરજ શેઠ ભારતીય સેનાના ઉપ-સેનાપ્રમુખ તરીકે ફરજ બજાવી રહ્યા છે અને સેનાના આધુનિકીકરણ તથા વિવિધ વ્યૂહાત્મક યોજનાઓની દેખરેખ રાખી રહ્યા છે.
રક્ષા વિશ્લેષકોના મતે, ચીન સાથે એલએસી પર ચાલી રહેલા પડકારો અને જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખતા ધીરજ શેઠની નિમણૂક મહત્વપૂર્ણ માનવામાં આવે છે. મિકેનાઇઝ્ડ ફોર્સ અને કાઉન્ટર-ઇન્સર્જન્સી ઓપરેશન્સમાં તેમનો અનુભવ ભારતીય સેનાની ક્ષમતાઓને વધુ મજબૂત બનાવશે. તેમની આગેવાની હેઠળ સેનાના આધુનિકીકરણ અને સંયુક્ત થિયેટર કમાન્ડ જેવી મહત્વાકાંક્ષી યોજનાઓને વધુ ગતિ મળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.




