કર્ણાટકમાં ખાણમાં ભયાનક દુર્ઘટના: પથ્થર તૂટી પડતા બિહારના 7 મજૂરોના મોત, અનેક ઘાયલ



કર્ણાટકમાં ખાણમાં ભયાનક દુર્ઘટના: પથ્થર તૂટી પડતા બિહારના 7 મજૂરોના મોત, અનેક ઘાયલ



કર્ણાટકના બેંગલુરુમાં ગુરુવારે વહેલી સવારે પથ્થરની ખાણમાં થયેલી ભયાનક દુર્ઘટનામાં બિહારના 7 સ્થળાંતરિત મજૂરોના મોત થયા છે, જ્યારે અનેક મજૂરો ગંભીર રીતે ઘાયલ થયા છે. હજુ પણ કેટલાક મજૂરો કાટમાળ નીચે ફસાયેલા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જેના કારણે મૃત્યુઆંક વધવાની શક્યતા નકારી શકાય તેમ નથી.
માહિતી અનુસાર, આ દુર્ઘટના બેંગલુરુ દક્ષિણ તાલુકાના મદપટ્ટના વિસ્તારમાં આવેલી પથ્થરની ખાણમાં સવારે લગભગ 5 વાગ્યે બની હતી. ખાણમાં અંદાજે 20 જેટલા મજૂરો કામ કરી રહ્યા હતા ત્યારે અચાનક વિશાળ ચટ્ટાન તૂટી પડી હતી. એક દિવસ અગાઉ ખાણમાં બ્લાસ્ટિંગ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ મજૂરો જમીનથી આશરે 40 ફૂટ નીચે ખોદકામ કરી રહ્યા હતા.
દુર્ઘટનામાં ઘાયલ થયેલા પાંચ મજૂરોને તાત્કાલિક આર.આર. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. મૃતકોની ઓળખ હજુ સુધી સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી નથી, પરંતુ તેઓ બિહારના સ્થળાંતરિત મજૂરો હોવાનું જાણવા મળ્યું છે. કેટલાક ઘાયલ મજૂરો કર્ણાટકના રહેવાસી હોવાનું પણ સામે આવ્યું છે.
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, ચટ્ટાન તૂટી પડતા પહેલાં કોઈ પ્રકારની ચેતવણી મળી નહોતી. એક મજૂરે જણાવ્યું કે પળવારમાં ભારે પથ્થરો નીચે પડતાં અનેક લોકો દટાઈ ગયા હતા અને બચાવ માટે કોઈ તક મળી નહોતી. દુર્ઘટનામાં ખાણમાં કામ કરતી ભારે મશીનોને પણ નુકસાન થયું છે.
પોલીસ, બચાવ દળ અને જિલ્લા પ્રશાસનની ટીમો સ્થળ પર પહોંચી સતત બચાવ કામગીરી ચલાવી રહી છે અને કાટમાળ હટાવીને ફસાયેલા મજૂરોને શોધવાના પ્રયાસો કરી રહી છે.
કર્ણાટકના મુખ્યમંત્રી ડી.કે. શિવકુમારે ઘટનાને અત્યંત દુઃખદ ગણાવી મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પી છે. તેમણે ઘાયલોના વહેલા સ્વસ્થ થવાની પ્રાર્થના કરી અને ખાણ માલિકોને મજૂરોની સુરક્ષા સુનિશ્ચિત કરવાની જવાબદારી યાદ અપાવી છે. સાથે જ નિયમોનો ભંગ કરતી ખાણો સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી પણ આપી છે.




