GSRTCનો મુસાફરોને રાહતભર્યો નિર્ણય: એસી અને વોલ્વો બસના ભાડામાં ઘટાડો



ફાઈલ ફોટો
GSRTCનો મુસાફરોને રાહતભર્યો નિર્ણય: એસી અને વોલ્વો બસના ભાડામાં ઘટાડો



ફાઈલ ફોટો
અમદાવાદ: ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા મુસાફરોને મોટી રાહત આપવામાં આવી છે. રાજ્યમાં દોડતી પ્રીમિયમ એસી અને વોલ્વો બસોના ભાડામાં ઘટાડો કરવામાં આવતા હવે મુસાફરો માટે લાંબા અંતરનો પ્રવાસ વધુ સસ્તો અને આરામદાયક બન્યો છે.
અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસવે પર અમદાવાદથી ભાવનગર વચ્ચે દોડતી પ્રીમિયમ એસી બસોના ભાડામાં ઘટાડો કરવામાં આવ્યો છે. રોજના 24 ફેરા કરતી આ બસોમાં હવે મુસાફરો માત્ર ₹336ના ભાડે મુસાફરી કરી શકશે. આ ઉપરાંત દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે મારફતે દોડતી અમદાવાદ-સુરત નોન-સ્ટોપ વોલ્વો બસમાં પણ ભાડું ઘટાડવામાં આવ્યું છે. અગાઉની સરખામણીએ મુસાફરોને ₹61ની સીધી બચત થશે અને હવે આ રૂટ પર ₹687માં પ્રવાસ કરી શકાશે.
ભાડામાં થયેલા ઘટાડાથી ખાસ કરીને મધ્યમ વર્ગના પરિવારો અને રોજિંદા મુસાફરી કરતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં આરામદાયક અને સુરક્ષિત મુસાફરી માટે લોકો હવે વધુ પ્રમાણમાં એસી અને વોલ્વો બસોની પસંદગી કરે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
મુસાફરોના જણાવ્યા મુજબ ભાડામાં ઘટાડો થતાં સરકારી લક્ઝુરિયસ બસ સેવા હવે ખાનગી વાહન અને અન્ય વિકલ્પોની સરખામણીએ વધુ આકર્ષક બની છે. આ નિર્ણયથી મુસાફરોને આર્થિક રાહત મળશે અને જાહેર પરિવહનનો ઉપયોગ પણ વધશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.




