ચાંગોદર પ્લાઝ્મા કૌભાંડ: દોષિતોને નહીં બક્ષાય, આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની ચેતવણી



ચાંગોદર પ્લાઝ્મા કૌભાંડ: દોષિતોને નહીં બક્ષાય, આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની ચેતવણી



અમદાવાદ: અમદાવાદ જિલ્લાના ચાંગોદર વિસ્તારમાં બહાર આવેલા પ્લાઝ્મા ભેળસેળ અને હેરાફેરીના કૌભાંડને લઈને રાજ્ય સરકાર સખ્ત વલણ અપનાવી રહી છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે દર્દીઓના આરોગ્ય સાથે ચેડાં કરનાર કોઈપણ વ્યક્તિ કે તત્વને બક્ષવામાં નહીં આવે અને દોષિતો સામે કાયદા મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે.
આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે સમગ્ર મામલાની વિગતવાર તપાસ શરૂ કરી દેવામાં આવી છે. પોલીસ તેમજ સંબંધિત તપાસ એજન્સીઓ કૌભાંડમાં સંડોવાયેલા તમામ લોકોની ભૂમિકા અંગે તપાસ કરી રહી છે. રાજ્ય સરકાર દર્દીઓની સુરક્ષા અને આરોગ્ય સેવાઓની ગુણવત્તા જાળવવા માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ હોવાનું તેમણે જણાવ્યું હતું.
પાનશેરીયાએ કહ્યું કે બ્લડ પ્લાઝ્મા જેવી જીવનરક્ષક સામગ્રીમાં ભેળસેળ કરવી અત્યંત ગંભીર અને માનવતાવિરોધી હરકત છે. આવા કૃત્યો માત્ર દર્દીઓના જીવનને જોખમમાં મૂકે છે એટલું જ નહીં, પરંતુ સમગ્ર આરોગ્ય વ્યવસ્થા પ્રત્યે લોકોનો વિશ્વાસ પણ હચમચાવી દે છે. તેથી રાજ્ય સરકાર આ મામલે ‘ઝીરો ટોલરન્સ’ની નીતિ હેઠળ કાર્યવાહી કરી રહી છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે રાજ્યની તમામ બ્લડ બેન્કો, પ્લાઝ્મા કલેક્શન સેન્ટરો અને સંબંધિત આરોગ્ય સંસ્થાઓની કામગીરી પર વધુ કડક દેખરેખ રાખવા માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે. ભવિષ્યમાં આવી કોઈ ઘટના ફરી ન બને તે માટે મોનિટરિંગ અને નિયંત્રણ વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવામાં આવશે.
આ દરમિયાન આરોગ્ય મંત્રીએ આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કરવામાં મહત્વની ભૂમિકા ભજવનાર અમદાવાદ SOG પોલીસ અને તપાસ સાથે જોડાયેલા અધિકારીઓને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે તપાસ પૂર્ણ થયા બાદ સમગ્ર કૌભાંડની હકીકતો સામે આવશે અને જવાબદાર તમામ લોકો સામે કાયદા મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે.




