Get News Alerts

Never miss breaking news updates.

અધિક માસની પૂનમે ડાકોરમાં લાખો ભાવિકોએ કર્યા રાજા રણછોડરાયના દર્શન

અધિક માસની પવિત્ર પૂનમના અવસરે યાત્રાધામ ડાકોરમાં આસ્થાનું વિરાટ દ્રશ્ય જોવા મળ્યું. રાજા રણછોડરાયના દર્શન અને આશીર્વાદ મેળવવા માટે રાજ્યભર તેમજ બહારના રાજ્યોમાંથી લાખો ભાવિકો ડાકોર પહોંચ્યા હતા. વહેલી સવારથી મંદિર પરિસરમાં ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી, જ્યારે સમગ્ર ડાકોર નગર ભજન-કીર્તન અને જયઘોષથી ભક્તિમય બની ગયું હતું.
Rahul Desai
Rahul DesaiUpdated on: 01 Jun 2026 11:12 AM IST
અધિક માસની પૂનમે ડાકોરમાં લાખો ભાવિકોએ કર્યા રાજા રણછોડરાયના દર્શનઅધિક માસની પૂનમે ડાકોરમાં લાખો ભાવિકોએ કર્યા રાજા રણછોડરાયના દર્શન

ફાઈલ ફોટો

ડાકોર: અધિક માસની પવિત્ર પૂનમના અવસરે ખેડા જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં આસ્થાનું અનોખું દ્રશ્ય જોવા મળ્યું. રાજા રણછોડરાયના દર્શન અને આશીર્વાદ મેળવવા માટે રાજ્યભર સહિત અન્ય રાજ્યોમાંથી પણ લાખો શ્રદ્ધાળુઓ ડાકોર પહોંચી ઉમટ્યા હતા.

વહેલી સવારથી જ રણછોડરાય મંદિર ખાતે ભાવિકોની લાંબી કતારો જોવા મળી હતી. ભક્તોએ કલાકો સુધી રાહ જોઈ ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. મંદિર પરિસર અને આસપાસના વિસ્તારોમાં ભક્તોની ભારે ભીડને પગલે સમગ્ર ડાકોર નગર ભક્તિમય વાતાવરણમાં રંગાઈ ગયું હતું.

અધિક માસની પૂનમને ધ્યાનમાં રાખીને પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ગોમતી તળાવ, મંદિર પરિસર તેમજ મુખ્ય માર્ગો પર પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા હતા. ટ્રાફિક વ્યવસ્થા સુચારૂ રહે તે માટે વિશેષ રૂટ ડાયવર્ઝન અને પાર્કિંગની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.

આ દરમિયાન ભજન-કીર્તન, હરિનામ સંકીર્તન અને "જય રણછોડ, માખણ ચોર"ના જયઘોષથી સમગ્ર ડાકોર નગર ગુંજી ઉઠ્યું હતું. ભક્તોએ ગોમતી તળાવમાં પવિત્ર સ્નાન કરી ભગવાન રણછોડરાયના દર્શન કર્યા હતા.

અધિક માસની પૂનમના આ પાવન અવસરે રાજા રણછોડરાયના દર્શન કરીને ભાવિકોએ પોતાને ધન્ય ગણાવ્યા હતા અને પરિવારના સુખ-સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.