અડાલજ ત્રિમંદિર ખાતે મોદીના દીર્ઘાયુ માટે વિશેષ આરતી, રાજ્ય અને દેશના વિકાસ માટે કરાઈ પ્રાર્થના



અડાલજ ત્રિમંદિર ખાતે મોદીના દીર્ઘાયુ માટે વિશેષ આરતી, રાજ્ય અને દેશના વિકાસ માટે કરાઈ પ્રાર્થના



ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના વડાપ્રધાન તરીકે સફળતાપૂર્વક 12 વર્ષનો યશસ્વી કાર્યકાળ પૂર્ણ કરી દેશના સૌથી લાંબા સમય સુધી સેવારત ચૂંટાયેલા વડાપ્રધાન તરીકે નવો રેકોર્ડ સ્થાપ્યો છે. આ અવસરે રાજ્યભરમાં વિવિધ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. તે જ અંતર્ગત ગાંધીનગર નજીક આવેલા અડાલજ ત્રિમંદિર ખાતે વિશેષ આરતી અને પ્રાર્થના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ત્રિમંદિરમાં વર્તમાન તીર્થંકર શ્રી સીમંધર સ્વામી ભગવાન સહિત વિવિધ દેવી-દેવતાઓના દર્શન કરવામાં આવ્યા હતા. ત્યારબાદ યોજાયેલી આરતીમાં સહભાગી થઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દીર્ઘાયુ, ઉત્તમ સ્વાસ્થ્ય અને નિરામય જીવન માટે પ્રાર્થના કરવામાં આવી હતી.

કાર્યક્રમ દરમિયાન રાજ્ય અને દેશના અવિરત સર્વાંગી વિકાસ, સમૃદ્ધિ અને જનકલ્યાણ માટે પણ મંગલકામનાઓ વ્યક્ત કરવામાં આવી હતી. ઉપસ્થિત મહાનુભાવોએ દેશના વિકાસ માટે વડાપ્રધાન મોદીના નેતૃત્વ અને યોગદાનની પ્રશંસા કરી હતી.
આ પ્રસંગે જણાવવામાં આવ્યું હતું કે વડાપ્રધાન મોદી પ્રત્યેની આત્મીયતા અને સ્નેહની અભિવ્યક્તિ સ્વરૂપે ગુજરાતભરના વિવિધ શહેરો અને ધાર્મિક સ્થળોએ મહાઆરતી તેમજ પ્રાર્થના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યના નાગરિકો દ્વારા વ્યક્ત કરવામાં આવતો આ પ્રેમ અને લાગણી ખૂબ જ હૃદયસ્પર્શી હોવાનું પણ જણાવાયું હતું.
અડાલજ ત્રિમંદિર ખાતે યોજાયેલા આ કાર્યક્રમ દરમિયાન ભક્તિમય માહોલ વચ્ચે દેશના વિકાસ, જનકલ્યાણ અને ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રાર્થના કરવામાં આવી હતી. મોદીના 12 વર્ષના કાર્યકાળને લઈને લોકોમાં ઉત્સાહ અને ગૌરવની લાગણી જોવા મળી હતી.




