ટ્રેનમાં સીટના વિવાદે લીધો જીવ, બૈતૂલમાં યુવકની મારપીટ કરીને હત્યા



ટ્રેનમાં સીટના વિવાદે લીધો જીવ, બૈતૂલમાં યુવકની મારપીટ કરીને હત્યા



મધ્ય પ્રદેશના બૈતૂલ જિલ્લામાં ટ્રેનમાં સીટને લઈને થયેલો સામાન્ય વિવાદ હત્યામાં ફેરવાતા ચકચાર મચી ગઈ છે. પેંચવેલી એક્સપ્રેસમાં મુસાફરી દરમિયાન શરૂ થયેલી બોલાચાલી બાદ બોરદેહી રેલવે સ્ટેશન પર 25 વર્ષીય યુવકની મારપીટ કરીને હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
મૃતકની ઓળખ છિંદવાડાના રહેવાસી અલી ખાન તરીકે થઈ છે. ઘટનાની જાણ થતાં રેલવે સુરક્ષા પોલીસ (RPF) અને સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પ્લેટફોર્મ પરથી મૃતદેહ મળ્યા બાદ પોલીસે અજાણ્યા હુમલાખોરો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધ્યો છે અને તેમની શોધખોળ શરૂ કરી છે.
મૃતકના મિત્ર અને ઘટનાના પ્રત્યક્ષદર્શી જયંત વિશ્વકર્માએ પોલીસને આપેલા નિવેદનમાં જણાવ્યું કે તેઓ ચાર મિત્રો સાથે પેંચવેલી એક્સપ્રેસમાં ભોપાલ જઈ રહ્યા હતા. પરાસિયા સ્ટેશન પર ટ્રેનમાં ચડેલા એક અજાણ્યા વ્યક્તિ સાથે સીટને લઈને બોલાચાલી થઈ હતી. જોકે, તે સમયે મામલો શાંત થઈ ગયો હતો.
આરોપ છે કે બાદમાં તે વ્યક્તિએ બોરદેહી સ્ટેશન પર પોતાના 10થી 12 સાથીદારોને બોલાવી લીધા હતા. ટ્રેન સ્ટેશન પર પહોંચતા જ ટોળાએ અલી ખાનને જબરદસ્તી નીચે ઉતારી તેની પર હુમલો કર્યો હતો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ હુમલાખોરોએ લાત-ઘૂંસાઓ ઉપરાંત અન્ય હથિયારો વડે પણ મારપીટ કરી હતી.
ગંભીર ઇજાઓના કારણે અલી ખાને પ્લેટફોર્મ પર જ દમ તોડી દીધો હતો. ઘટના બાદ હુમલાખોરો ફરાર થઈ ગયા હતા. પોલીસે સ્ટેશન પર લગાવવામાં આવેલા CCTV કેમેરાના ફૂટેજની તપાસ શરૂ કરી છે તેમજ સાક્ષીઓના નિવેદનો નોંધવામાં આવી રહ્યા છે.
પ્રાથમિક તપાસમાં સીટના વિવાદને કારણે હુમલો થયો હોવાનું સામે આવ્યું છે. પોલીસે આરોપીઓને ઝડપવા માટે વિવિધ ટીમો બનાવી તપાસ તેજ કરી છે.




