જામનગરમાં કરોડોની કથિત છેતરપીંડી મામલે વેપારીઓમાં રોષ, એસપીને આવેદનપત્ર પાઠવાયું



જામનગરમાં કરોડોની કથિત છેતરપીંડી મામલે વેપારીઓમાં રોષ, એસપીને આવેદનપત્ર પાઠવાયું



જામનગર : જામનગર શહેરમાં કરોડો રૂપિયાની કથિત છેતરપીંડીના મામલે વેપારી વર્ગમાં ભારે રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. શહેરના જામનગર સુપર માર્કેટ સહિત વિવિધ વિસ્તારોના વેપારીઓએ આજે જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર પાઠવી આરોપી સામે તાત્કાલિક ગુનો નોંધવા અને કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
વેપારીઓના આક્ષેપ મુજબ હિતેષ લક્ષ્મીકાંત ગોહિલે ઊંચા વળતર અને આકર્ષક નફાની લાલચ આપી અનેક વેપારીઓ પાસેથી મોટી રકમો એકત્રિત કરી હતી. જોકે હાલ આરોપી ફરાર હોવાનું સામે આવતા વેપારીઓમાં ચિંતા અને રોષની લાગણી વ્યાપી ગઈ છે.
આવેદનપત્રમાં વેપારીઓએ આરોપીની તાત્કાલિક ધરપકડ કરવાની સાથે તેના નાણાકીય વ્યવહારોની ઊંડાણપૂર્વક તપાસ કરવાની માંગ ઉઠાવી છે. ઉપરાંત આરોપીની મિલકતો અને સંપત્તિ જપ્ત કરીને પીડિતોને ન્યાય અપાવવા માટે સમગ્ર મામલે ઉચ્ચસ્તરીય અને નિષ્પક્ષ તપાસ કરવાની પણ માંગ કરવામાં આવી છે.
વેપારીઓએ ચેતવણી આપતાં જણાવ્યું હતું કે જો સમયસર અને અસરકારક કાર્યવાહી કરવામાં નહીં આવે તો વધુ વેપારીઓ આર્થિક છેતરપીંડીનો ભોગ બની શકે છે. હાલ સમગ્ર મામલે પોલીસ તંત્ર દ્વારા શું પગલાં લેવામાં આવે છે તેના પર વેપારી વર્ગની નજર મંડાઈ છે.




