‘કેસરીયો ફરી લહેરાશે’: હર્ષ સંઘવીનો દમદાર દાવો, કાર્યકરોમાં ઉત્સાહ



‘કેસરીયો ફરી લહેરાશે’: હર્ષ સંઘવીનો દમદાર દાવો, કાર્યકરોમાં ઉત્સાહ



વડોદરા/ભરૂચ: આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ભાજપના 'ચાણક્ય' ગણાતા અને રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વડોદરા અને ભરૂચ જિલ્લામાં ચૂંટણીલક્ષી પ્રવાસ ખેડી કાર્યકરોમાં નવો પ્રાણ ફૂંક્યો છે. પ્રવાસ દરમિયાન તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, વડીલોના અનુભવ અને યુવાઓના જોશના સંગમથી ભાજપ ફરી એકવાર ઐતિહાસિક વિજય સાથે કેસરીયો લહેરાવશે.
સત્તા એ સેવાનું માધ્યમ: કીર્તિ મંદિરથી પ્રારંભ
હર્ષ સંઘવીએ વડોદરાના ઐતિહાસિક કીર્તિ મંદિર ખાતે 'જનસેવા સંકલ્પ' કાર્યક્રમથી પ્રવાસની શરૂઆત કરી હતી. પ્રદેશ મહામંત્રી શ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં તેમણે કાર્યકરોને સંબોધતા કહ્યું કે, "ભાજપ માટે સત્તા એ ભોગવવાનું સાધન નથી, પરંતુ છેવાડાના માનવીની સેવા કરવાનું પવિત્ર માધ્યમ છે.
" વિકાસ માટે સંવાદ: ઉદ્યોગપતિઓ અને અગ્રણીઓ સાથે બેઠક વડોદરાના વિકાસને નવી ઊંચાઈએ લઈ જવા માટે તેમણે હોટલ સૂર્ય પેલેસ ખાતે શહેરના પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિઓ અને સામાજિક અગ્રણીઓ સાથે ગહન ચર્ચા કરી હતી. શહેરના આર્થિક અને સામાજિક માળખાને વધુ મજબૂત કરવા માટે સરકાર અને સમાજના સાથ-સહકાર પર તેમણે ભાર મૂક્યો હતો. વોર્ડ સ્તરે રણનીતિ: કાર્યકરોમાં ઉત્સાહનો સંચાર ચૂંટણી જીતવા માટે પેજ સમિતિ અને વોર્ડ લેવલની કામગીરી પર ભાર મૂકતા નાયબ મુખ્યમંત્રીશ્રીએ વિવિધ વોર્ડની મુલાકાત લીધી હતી: વોર્ડ નં. 1 અને 3: સયાજીગંજ, રાવપુરા અને શહેરવાડી વિસ્તારના ઉમેદવારો અને કર્મઠ કાર્યકરો સાથે બેઠક યોજી વિજય મંત્ર આપ્યો. વોર્ડ નં. 6: અહીં કાર્યકરોનો અભૂતપૂર્વ ઉત્સાહ જોઈ તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે વિજયનો સંકલ્પ અત્યારથી જ સિદ્ધ થઈ ગયો છે. 'શ્રી કમલમ' ખાતે મંથન: જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે તેમણે આગામી દિવસોમાં ઘરે-ઘરે જઈ સરકારી યોજનાઓના લાભ પહોંચાડવા માર્ગદર્શન આપ્યું હતું.
ભરૂચને ગણાવ્યું ગુજરાતની આર્થિક કરોડરજ્જુ વડોદરા બાદ ભરૂચ પહોંચેલા શ્રી સંઘવીએ રાજપૂત છાત્રાલય ખાતે સામાજિક અગ્રણીઓ સાથે સંવાદ કર્યો હતો. તેમણે જણાવ્યું કે ભરૂચ ગુજરાતનું ઔદ્યોગિક હબ છે અને સ્થાનિક રોજગારીના સર્જન માટે ભાજપ સરકાર કટિબદ્ધ છે. સાદગીના દર્શન: પ્રોટોકોલ તોડી લારી પર માણી ચાની ચુસ્કી આ પ્રવાસની સૌથી વધુ ચર્ચિત ઘટના શ્રી હર્ષ સંઘવીની સાદગી રહી. ભરૂચમાં વ્યસ્ત કાર્યક્રમો વચ્ચે તેમણે પ્રોટોકોલ બાજુ પર મૂકીને રસ્તા પરની એક સામાન્ય લારી પર ઉભા રહી કાર્યકરો સાથે ચા-નાસ્તાની મજા માણી હતી. કોઈ પણ જાતના વીઆઈપી આડંબર વગર સામાન્ય નાગરિકની જેમ કાર્યકરો વચ્ચે બેઠેલા નાયબ મુખ્યમંત્રીની આ તસવીરો સોશિયલ મીડિયા પર લોકોનું દિલ જીતી રહી છે.




