કોલકત્તામાં મતદાન દરમિયાન હંગામો, મુર્શિદાબાદમાં અથડામણ



કોલકત્તામાં મતદાન દરમિયાન હંગામો, મુર્શિદાબાદમાં અથડામણ



કોલકાતા: કોલકત્તામાં આજે પ્રથમ ચરણનું મતદાન શરૂ થયું છે. મતદાન દરમિયાન કેટલાક વિસ્તારોમાં તણાવપૂર્ણ પરિસ્થિતિ જોવા મળી હતી. મુર્શિદાબાદ જિલ્લામાં AUJP નેતા હુમાયુ કબીરની મુલાકાત દરમિયાન લોકો દ્વારા વિરોધ નોંધાયો હતો, જેમાં TMC સમર્થકો દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો. આ કારણે બંને પક્ષોના સમર્થકો વચ્ચે અથડામણ સર્જાઈ અને પરિસ્થિતિ કાબૂમાં લેવા પોલીસને બોલાવવી પડી હતી. પોલીસે ભીડને છૂટા પાડવા માટે લાઠીચાર્જ કર્યો હતો.
મળતી માહિતી મુજબ, હુમાયુ કબીર તે વિસ્તારમાં ગયા હતા જ્યાં ગત રાત્રે ક્રૂડ બોમ્બ ફેંકવાની ઘટના બની હતી. આ દરમિયાન TMC સમર્થકો સાથે તેમનો સામનો થતાં વિવાદ વધી ગયો. પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા અર્ધલશ્કરી દળો અને પોલીસનો મોટો જથ્થો તહેનાત કરવામાં આવ્યો હતો.
એએસપી માજિદ ખાને જણાવ્યું હતું કે હાલ પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે અને મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે ચાલી રહી છે.
AUJP નેતા હુમાયુ કબીરે જણાવ્યું કે, "નાઓડા સહિતના વિસ્તારોમાં શાંતિપૂર્ણ મતદાન માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે, પરંતુ ગત રાત્રે બૂથ નંબર 9 અને 10 પર અશાંતિ ફેલાવવાનો પ્રયાસ થયો હતો. અમારો હેતુ કોઈને ડરાવવાનો નથી, પરંતુ ચૂંટણી નિષ્પક્ષ રીતે યોજાવું જરૂરી છે."
બીજી તરફ, ડોમકલ વિસ્તારના કેટલાક મતદારોએ આરોપ લગાવ્યો છે કે TMC સમર્થકો દ્વારા તેમને મતદાન ન કરવા માટે ધમકીઓ આપવામાં આવી રહી છે.




