બુલેટને લઈ બોલાચાલીનો કરુણ અંત: રાજકોટમાં ફાયરિંગ બાદ યુવકની હત્યા, પિતા-પુત્ર સામે ગુનો



બુલેટને લઈ બોલાચાલીનો કરુણ અંત: રાજકોટમાં ફાયરિંગ બાદ યુવકની હત્યા, પિતા-પુત્ર સામે ગુનો



રાજકોટ શહેરના નાનામૌવા વિસ્તારમાં બુલેટ મોટરસાયકલ ઝડપથી ચલાવવાના મુદ્દે થયેલી સામાન્ય બોલાચાલી થોડા જ સમયમાં લોહિયાળ હત્યાકાંડમાં ફેરવાઈ ગઈ. ઘટનામાં 32 વર્ષીય કૃષ્ણસિંહ જાડેજાનું ફાયરિંગ અને જીવલેણ હુમલામાં મોત થયું છે, જ્યારે તેમને બચાવવા વચ્ચે પડેલા તેમના 72 વર્ષીય પિતરાઈ દાદા રહેન્દ્રસિંહ જાડેજા ગંભીર રીતે ઘાયલ થયા છે. નોંધનીય છે કે મૃતકના પરિવારનો એક સભ્ય રાજકોટ શહેર પોલીસમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે.
ફરિયાદ મુજબ 8 જુલાઈની રાત્રે કૃષ્ણસિંહ જાડેજા અને એક સગીર વચ્ચે બુલેટ મોટરસાયકલ ઝડપથી ચલાવવાના મુદ્દે બોલાચાલી થઈ હતી. બાદમાં સગીરે પોતાના મોટા ભાઈ અને પિતા રણજીતસિંહ વાળાને બોલાવ્યા હતા. થોડા સમય બાદ રણજીતસિંહ પોતાના બંને પુત્રો સાથે કૃષ્ણસિંહના ઘરે પહોંચ્યો હતો. ત્યાં ઉગ્ર બોલાચાલી બાદ રણજીતસિંહે ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું અને ત્યારબાદ ત્રણેયે મળીને કૃષ્ણસિંહ પર હુમલો કર્યો. ગંભીર રીતે ઘાયલ કૃષ્ણસિંહને હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
ઘટનાની જાણ થતાં રાજકોટ શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતા અને સીસીટીવી ફૂટેજ સહિતના પુરાવા એકત્ર કર્યા હતા. મૃતકના પરિવારજનોની ફરિયાદના આધારે તાલુકા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 103(1), 118(2), 352, 3(5) તેમજ આર્મ્સ એક્ટ હેઠળ રણજીતસિંહ વાળા અને તેના બંને પુત્રો સામે ગુનો નોંધાયો છે.
પોલીસે ગણતરીની કલાકોમાં રાજકોટ-ભાવનગર હાઇવે પરથી મુખ્ય આરોપી રણજીતસિંહ વાળા અને તેના પુત્ર રાજવીરસિંહ વાળાની ધરપકડ કરી છે, જ્યારે સગીર આરોપી સામે જુવેનાઇલ કાયદા મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં હુમલામાં વપરાયેલ હથિયાર ગેરકાયદેસર રીતે મેળવાયું હોવાનું સામે આવ્યું છે. પોલીસે આરોપીઓ પાસેથી કાર પણ કબજે કરી વધુ તપાસ શરૂ કરી છે. સામાન્ય વિવાદમાંથી બનેલી આ ઘટના શહેરમાં કાયદો અને વ્યવસ્થાને લઈને ગંભીર ચર્ચા જગાવી રહી છે.




