ગુજરાતમાં આજથી વસતી ગણતરીનો પ્રારંભ



AI Image
ગુજરાતમાં આજથી વસતી ગણતરીનો પ્રારંભ



AI Image
રાજ્યમાં આજથી (17 મે) વસતી ગણતરીની પ્રક્રિયાનો પ્રારંભ થયો છે. લોકો 31 મે સુધી ‘સેલ્ફ એન્યુમેરેશન’ એટલે કે જાતે ઓનલાઈન માહિતી અપલોડ કરી શકશે. 15 વર્ષ બાદ યોજાઈ રહેલી આ વસતી ગણતરી બે તબક્કામાં પૂર્ણ થશે. પ્રથમ તબક્કામાં 1 જૂનથી 30 જૂન દરમિયાન ઘરોની ગણતરી કરવામાં આવશે, જ્યારે બીજા તબક્કાની પ્રક્રિયા 9 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી 2027 દરમિયાન હાથ ધરાશે.
પ્રથમ તબક્કામાં ગણતરીદારો ઘરના મુખ્ય સભ્યને કુલ 33 સવાલો પૂછશે. આ વખતે ચાર નવા સવાલોનો પણ પ્રથમવાર સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં ઈન્ટરનેટ અને સ્માર્ટફોનનો ઉપયોગ, બોટલબંદ પાણીનો ઉપયોગ તેમજ કયા પ્રકારનું ધાન્ય વધુ વપરાય છે તેની માહિતી લેવામાં આવશે.
રાજ્યભરમાં વસતી ગણતરી માટે કુલ 1.10 લાખથી વધુ કર્મચારીઓ ફરજ બજાવશે. તેમાં 1,09,038 ગણતરીદારો, 18,254 સુપરવાઇઝર અને 1,10,598 હાઉસલિસ્ટિંગ બ્લોક્સનો સમાવેશ થાય છે. સમગ્ર પ્રક્રિયાને સફળ બનાવવા માટે અધિકારીઓ અને કર્મચારીઓને તબક્કાવાર તાલીમ પણ આપવામાં આવી રહી છે.
લોકો 17 મેથી 31 મે દરમિયાન ઓનલાઈન ‘સેલ્ફ એન્યુમેરેશન’ દ્વારા પોતાની માહિતી અપલોડ કરી શકશે. આ માટે ભારત સરકાર દ્વારા ટોલ ફ્રી નંબર 1855 તેમજ સત્તાવાર વેબસાઇટ censusindia.gov.in જાહેર કરવામાં આવી છે.
વસતી ગણતરીની કામગીરીમાં શિક્ષકો અને પ્રાધ્યાપકોને જોડવાના મુદ્દે પણ ચર્ચા તેજ બની છે. વિવિધ શિક્ષક સંગઠનોએ શૈક્ષણિક સત્રની શરૂઆત દરમિયાન શિક્ષકોને આ કામગીરીમાંથી મુક્ત રાખવાની માંગ કરી છે. આ અંગે વસતી ગણતરી નિયામક સુજલ માયાત્રાએ જણાવ્યું હતું કે, શિક્ષકોને કામગીરીમાં સામેલ કરવાનો અંતિમ નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવશે.




