ઈન્દિરા બ્રિજ પર ટ્રાફિક સુધારવા પોલીસ કમિશ્નર મેદાનમાં



ઈન્દિરા બ્રિજ પર ટ્રાફિક સુધારવા પોલીસ કમિશ્નર મેદાનમાં



અમદાવાદ: અમદાવાદમાં ટ્રાફિક જામથી રાહત માટે પોલીસ કમિશ્નરનો મેદાનમાં ઉતર્યો કાફલો, ઈન્દિરા બ્રિજ સહિતના મુખ્ય પોઇન્ટ્સની સમીક્ષા કરવામાં આવી હતી.
શહેરમાં વધતા ટ્રાફિકના ભારણ અને વારંવાર સર્જાતા ટ્રાફિક જામને ધ્યાનમાં રાખી શહેર પોલીસ એક્શનમાં આવી છે. પોલીસ કમિશ્નર G.S. Malikએ આજે ગાંધીનગર-અમદાવાદને જોડતા મુખ્ય માર્ગ પર આવેલા ઈન્દિરા બ્રિજ સર્કલ સહિતના મહત્વના ટ્રાફિક પોઇન્ટ્સની મુલાકાત લઈ સ્થિતિની સમીક્ષા કરી હતી.
શહેર ટ્રાફિક શાખા દ્વારા ઈન્દિરા બ્રિજ સર્કલ, મદર ડેરી કટ, ભાટ ગામ ત્રણ રસ્તા અને નાના ચિલોડા સર્કલ ખાતે સતત સર્જાતી ટ્રાફિક સમસ્યાને દૂર કરવા માટે ખાસ આયોજન હાથ ધરાયું છે. ટ્રાફિકની સ્થિતિ સુધારવા માટે કેટલાક કટ બંધ કરી ડાયવર્ઝન આપવામાં આવ્યા છે, જ્યારે આધુનિક ટેકનોલોજી દ્વારા સતત મોનિટરિંગ પણ કરવામાં આવી રહ્યું છે.
પોલીસ વિભાગના જણાવ્યા અનુસાર, પ્રાયોગિક ધોરણે અમલમાં મૂકાયેલી આ નવી ટ્રાફિક વ્યવસ્થાનો મુખ્ય હેતુ ટ્રાફિક જામ અટકાવી વાહનોની અવરજવર સરળ અને સતત રાખવાનો છે.
આ દરમિયાન પોલીસ કમિશ્નર સાથે ટ્રાફિક શાખાના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. અધિકારીઓએ સ્થળ પર જઈ અમલમાં મૂકાયેલી વ્યવસ્થાનું નિરીક્ષણ કરી જરૂરી સૂચનાઓ આપી હતી.
શહેર પોલીસ દ્વારા ટ્રાફિક વ્યવસ્થાને વધુ સુગમ બનાવવા આગામી દિવસોમાં પણ સતત મોનિટરિંગ અને જરૂરી સુધારા કરવામાં આવશે તેવી માહિતી આપવામાં આવી છે.




