ભારતમાં કોઈ લોકડાઉન લાદવામાં નહીં આવે: નિર્મલા સીતારમણ



ભારતમાં કોઈ લોકડાઉન લાદવામાં નહીં આવે: નિર્મલા સીતારમણ



દેશમાં હાલ વૈશ્વિક સ્તરે વધતા તણાવ અને યુદ્ધ જેવા માહોલ વચ્ચે કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટીમાં પ્રતિ લિટર 10 રૂપિયાનો ઘટાડો કરીને લોકોને મોટી રાહત આપી છે. આ નિર્ણયથી ઇંધણના વધતા ભાવને કાબૂમાં રાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
આ વચ્ચે સોશિયલ મીડિયામાં ભારતમાં લોકડાઉન લાગશે તેવી અફવાઓ જોર પકડતી જોવા મળી રહી છે. જોકે, ભારત સરકારે આ અફવાઓને સંપૂર્ણપણે ખોટી ગણાવી છે અને લોકોને આવા ભ્રામક સંદેશાઓથી દૂર રહેવાની અપીલ કરી છે. સરકારે સ્પષ્ટ કહ્યું છે કે દેશમાં કોઈપણ પ્રકારનું લોકડાઉન લાગુ કરવાની કોઈ યોજના હાલ વિચારાધીન નથી.
ઇંધણ અંગેની ચિંતાઓ વચ્ચે સરકારે વધુ એક મહત્વપૂર્ણ માહિતી આપી છે. સરકાર મુજબ ભારતમાં પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે, જે આગામી 30 દિવસ સુધી પૂરતો રહેશે. એલપીજી અંગે પણ સરકારે ખાતરી આપી છે કે દેશમાં પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે, જેથી લોકોને ગભરાવાની કોઈ જરૂર નથી.
સરકારના નિવેદન મુજબ, “દરેક સંભવિત પડકારનો સામનો કરવા માટે અમે સંપૂર્ણપણે તૈયાર છીએ. ભારતે અગાઉ પણ વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે પોતાની મજબૂતી સાબિત કરી છે અને આગળ પણ સંકલિત રીતે જરૂરી પગલાં લેતા રહીશું.”
લોકડાઉન અંગે ફેલાતી અફવાઓ પર સરકારે કડક પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, “હું સ્પષ્ટ કરવા માગું છું કે સરકારમાં આવા કોઈ પગલાંનો પ્રસ્તાવ કે વિચારણા ચાલી રહી નથી. આ સમયે સૌએ શાંતિ, જવાબદારી અને એકતા જાળવવી જરૂરી છે. અફવા ફેલાવવી અને ડરનો માહોલ ઊભો કરવો નુકસાનકારક છે.”
સરકારે લોકોને અપીલ કરી છે કે તેઓ માત્ર સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ રાખે અને સોશિયલ મીડિયા પર ફેલાતી ખોટી વાતોને આગળ ન વધારે.




