ચાંદખેડા બાળકી મોત કેસમાં નવો વળાંક: FSL રિપોર્ટમાં કઈ જ ન મળતાં તપાસ ગૂંચવાઈ



ચાંદખેડા બાળકી મોત કેસમાં નવો વળાંક: FSL રિપોર્ટમાં કઈ જ ન મળતાં તપાસ ગૂંચવાઈ



અમદાવાદ: ચાંદખેડા વિસ્તારમાં બે બાળકીઓના શંકાસ્પદ મોતના કેસમાં નવો વળાંક આવ્યો છે. FSL રિપોર્ટમાં કોઈ પણ શંકાસ્પદ પદાર્થ ન મળતાં મોતનું કારણ અકબંધ રહ્યું છે અને પોલીસ માટે તપાસ વધુ ગૂંચવાઈ ગઈ છે.
પોલીસના જણાવ્યા મુજબ, મિસ્ટી (ઉંમર 3 વર્ષ) અને રાહા (ઉંમર અઢી માસ)ના પોસ્ટમોર્ટમ દરમિયાન લેવામાં આવેલા વિસેરાના સેમ્પલનો FSL રિપોર્ટ પ્રાપ્ત થયો છે, જેમાં કોઈ ઝેરી પદાર્થ કે અન્ય શંકાસ્પદ તત્વ મળ્યું નથી. આથી ઢોંસાના ખીરા સાથે મોતનું સીધું જોડાણ હોવાનું હાલમાં સ્પષ્ટ થયું નથી.
હાલમાં આ રિપોર્ટ પોસ્ટમોર્ટમ કરનાર ડૉક્ટરોને મોકલવામાં આવ્યો છે. ડૉક્ટરો દ્વારા “ફાઈનલ કોઝ ઓફ ડેથ” જાહેર થયા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ઉપરાંત, વિસેરા અને અન્ય મેડિકલ રિપોર્ટનો અભ્યાસ કરવા માટે મામલો સિવિલ હોસ્પિટલને પણ મોકલવામાં આવ્યો છે.
બીજી તરફ, ઘટના બાદ પોલીસે પરિવારના સભ્યોની પૂછપરછ કરી હતી. પ્રાથમિક રીતે જણાવાયું હતું કે બાળકીઓએ ઢોંસાના ખીરાથી બનેલું ખોરાક લીધા બાદ તબિયત બગડી હતી. જોકે, તપાસ દરમિયાન પરિવારમાંથી મળી આવેલી એક ડાયરીમાં કેટલાક શંકાસ્પદ નોંધો સામે આવ્યા છે.
ડાયરીમાં વિમલ પ્રજાપતિની પત્ની દ્વારા પુત્ર પ્રાપ્તિ માટે પ્રાર્થના અને માનતા રાખ્યાનો ઉલ્લેખ મળ્યો છે. જોકે, આ ડાયરી ક્યારે લખાઈ હતી—રાહાના જન્મ પહેલાં કે પછી—તે અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે.
હાલમાં મોતનું સાચું કારણ જાણવા માટે પોલીસ અને મેડિકલ ટીમ બંને તરફથી તપાસ ચાલુ છે, જે કેસને વધુ જટિલ બનાવે છે.




