હંટાવાયરસનો નવો ખતરો: ભારત હાઈ-એલર્ટ પર



AI Image
હંટાવાયરસનો નવો ખતરો: ભારત હાઈ-એલર્ટ પર



AI Image
નવી દિલ્હી: કોરોના બાદ હવે વિશ્વમાં Hantavirusને લઈને ચિંતા વધી રહી છે. તાજેતરમાં એમવી હોડિયન્સ ક્રુઝ શિપ પર હંટાવાયરસના સંક્રમણના અહેવાલો સામે આવતા વિશ્વ આરોગ્ય સંસ્થા World Health Organizationએ વૈશ્વિક સ્તરે એલર્ટ જાહેર કર્યું છે. આ ઘટનાને પગલે ભારત સરકારે પણ સાવચેતીના ભાગરૂપે પોતાની બાયોસર્વેલન્સ સિસ્ટમ સક્રિય કરી દીધી છે.
માહિતી મુજબ ક્રુઝ શિપમાં કેટલાક મુસાફરોના મોત થયા હોવાનું સામે આવ્યું છે, જ્યારે તેમાં ભારતીય નાગરિકો પણ સવાર હતા. સ્પેન સ્થિત ભારતીય દૂતાવાસે પુષ્ટિ કરી છે કે બે ભારતીય નાગરિકોને નેધરલેન્ડમાં ક્વોરેન્ટાઇન હેઠળ રાખવામાં આવ્યા છે. હાલ બંનેમાં કોઈ લક્ષણો જોવા મળ્યા નથી, પરંતુ સાવચેતીરૂપે તેમને 45 દિવસ સુધી આરોગ્ય નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે.
નિષ્ણાતો મુજબ હંટાવાયરસ સામાન્ય રીતે ઉંદરોના મળ, પેશાબ અથવા લાળના સંપર્કથી ફેલાય છે. જોકે હાલમાં તેના “એન્ડીઝ સ્ટ્રેન”ને લઈને સૌથી વધુ ચિંતા વ્યક્ત થઈ રહી છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ આ પ્રકાર માનવથી માનવમાં ફેલાવાની ક્ષમતા ધરાવે છે, જે વૈશ્વિક મહામારીનું સ્વરૂપ લઈ શકે છે.
ભારતમાં Indian Council of Medical Researchએ દેશભરની 165 વાયરસ સંશોધન અને નિદાન લેબને હાઈ-એલર્ટ પર મૂકી છે. “વાયરલ શીલ્ડ” હેઠળ વિદેશથી આવતા શંકાસ્પદ મુસાફરોના નમૂનાઓનું તાત્કાલિક પરીક્ષણ કરવામાં આવશે. હંટાવાયરસની તપાસ માટે RT-PCR ટેસ્ટ પદ્ધતિનો ઉપયોગ થશે.
સરકાર જરૂર જણાય તો એરપોર્ટ પર ફરીથી થર્મલ સ્ક્રીનિંગ અને મેડિકલ ચેકઅપ જેવી વ્યવસ્થાઓ અમલમાં મૂકી શકે છે. આરોગ્ય મંત્રાલય અને વડાપ્રધાન કાર્યાલય સમગ્ર સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે.
આરોગ્ય નિષ્ણાતોના જણાવ્યા મુજબ હંટાવાયરસના શરૂઆતના લક્ષણોમાં તીવ્ર તાવ, માથાનો દુખાવો, સ્નાયુઓમાં દુખાવો, પેટમાં તકલીફ, ઉબકા-ઉલટી અને ગંભીર કિસ્સામાં શ્વાસ લેવામાં મુશ્કેલીનો સમાવેશ થાય છે.
હાલ ભારતમાં હંટાવાયરસનો કોઈ કેસ નોંધાયો નથી, છતાં નિષ્ણાતોએ લોકોને સ્વચ્છતા જાળવવા અને ઉંદરોનો ઉપદ્રવ હોય તેવી જગ્યાઓથી દૂર રહેવાની સલાહ આપી છે.




