જોધપુરમાં મેડિકલ ગોડાઉનમાં ભીષણ આગ લાગી



જોધપુરમાં મેડિકલ ગોડાઉનમાં ભીષણ આગ લાગી



અમદાવાદ: જોધપુર વિસ્તારમાં BRTS બસ સ્ટેન્ડ નજીક આવેલી પારસ મેડિકલ એજન્સીના ગોડાઉનમાં ભીષણ આગ લાગતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ ફાયરબ્રિગેડની ચાર ગાડીઓ અને અધિકારીઓની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી.
માહિતી અનુસાર ગોડાઉનમાં મેડિકલ સાધનો અને દવાઓનો મોટો જથ્થો સંગ્રહિત હોવાથી આગે ઝડપથી વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગ સાથે ગાઢ ધુમાડો ફેલાતા ફાયરબ્રિગેડને બચાવ કામગીરીમાં ભારે મુશ્કેલી પડી હતી. ધુમાડો બહાર કાઢવા માટે ફાયરકર્મીઓને બારીના કાચ તોડવા પડ્યા હતા તેમજ ઉપરની દિવાલ તોડી વેન્ટિલેશનની વ્યવસ્થા કરવામાં આવી હતી.
ફાયરબ્રિગેડના અધિકારીઓએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લીધો હતો. જોકે ગોડાઉનમાં ભરાયેલા ધુમાડાને બહાર કાઢવામાં લાંબો સમય લાગ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી.
ડિવિઝનલ ફાયર ઓફિસર એસ.બી. જાડેજાએ જણાવ્યું હતું કે મુખ્ય કંટ્રોલ રૂમને આગ અંગેનો મેસેજ મળતા જ પ્રહલાદનગર અને બોડકદેવ ફાયર સ્ટેશનની ટીમોને તાત્કાલિક રવાના કરવામાં આવી હતી. આગ લાગ્યા બાદ નીચે આવેલા ફાર્માસ્યુટિકલ વિભાગમાંથી લોકોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.
બીજી તરફ ગોડાઉનના માલિકે આગ અંગે મીડિયા દ્વારા પૂછપરછ કરવામાં આવતા મીડિયા કર્મીઓ સાથે ગેરવર્તણૂક કરી હોવાનો પણ આક્ષેપ થયો છે.
ફાયર વિભાગના જણાવ્યા મુજબ જો ગોડાઉન કોમર્શિયલ કેટેગરીમાં આવતું હોય તો ફાયર NOC ફરજિયાત બને છે. સમગ્ર મામલે હવે એસ્ટેટ વિભાગ અને પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવશે. સાથે જ આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા FSLની મદદ લેવામાં આવશે.




