અમદાવાદ બેન્ક ઓફ બરોડામાં ₹8.70 કરોડની ઉચાપતનો મોટો કૌભાંડ ખુલાસો, RBI કરન્સી ચેસ્ટમાંથી ગોટાળો બહાર આવ્યો



અમદાવાદ બેન્ક ઓફ બરોડામાં ₹8.70 કરોડની ઉચાપતનો મોટો કૌભાંડ ખુલાસો, RBI કરન્સી ચેસ્ટમાંથી ગોટાળો બહાર આવ્યો



અમદાવાદ: અમદાવાદના કાલુપુર ગાંધી રોડ સ્થિત બેન્ક ઓફ બરોડાની મુખ્ય શાખામાં આવેલા RBI કરન્સી ચેસ્ટમાંથી રૂ. 8.70 કરોડની ઉચાપતનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.
ઓડિટ દરમિયાન ₹500ની કુલ 174 રીમ ઓછી જણાતા સમગ્ર ગેરરીતિનો પર્દાફાશ થયો હતો. ત્યારબાદ પોલીસ તપાસમાં બેન્કના જોઇન્ટ કસ્ટોડિયન હરસિદ્ધ અર્જુનભાઈ કાળિયારા પર મુખ્ય આરોપ લગાવવામાં આવ્યો છે અને તેમને ઝડપી લેવામાં આવ્યા છે.
તપાસમાં ખુલ્યું છે કે હરસિદ્ધ કાળિયારાએ અન્ય સાગરિતોની મદદથી આ કાવતરું રચ્યું હતું. આરોપ છે કે RBIના ઈ-કુબેર પોર્ટલમાં ખોટા સર્ટિફિકેટ અપલોડ કરીને તથા એક્સેલ શીટ અને અન્ય રેકોર્ડમાં ચેડાં કરીને આ ઉચાપત કરવામાં આવી હતી.
પોલીસના જણાવ્યા મુજબ, આરોપીએ તાવનું બહાનું બનાવી રજા લીધી હતી, પરંતુ બાદમાં ઝુલ્ફીકાર અન્સારી અને સુલતાન અહેમદ અન્સારી સહિતના સાગરિતો સાથે બેન્ક પહોંચી રાત્રિના સમયે રોકડ બોક્સ બહાર લઈ જવાનો પ્રયાસ કર્યો હતો. સિક્યુરિટીને શંકા જતા સમગ્ર કૌભાંડ બહાર આવ્યું.
તપાસ દરમિયાન સોલા વિસ્તારમાં ઔડાના મકાનમાંથી Ertiga ગાડીમાંથી ₹2.20 કરોડ રોકડ રિકવર કરવામાં આવી છે. ઉપરાંત એક મકાન, દુકાનમાં રોકાણ, ₹23 લાખનું ટ્રાન્ઝેક્શન અને ક્રિપ્ટોમાં રોકાણ થયાની પણ માહિતી મળી છે.
હાલ પોલીસે ત્રણ મોબાઇલ ફોન, Ertiga ગાડી કબ્જે કરી છે અને આરોપીની મિલકતો ટાંચમાં લેવાની કાર્યવાહી શરૂ કરી છે. સમગ્ર નેટવર્ક અને અન્ય સાગરિતોની ભૂમિકા અંગે વધુ તપાસ ચાલી રહી છે.




