ભારત સરકારનો માસ્ટર પ્લાન: હોર્મુઝનું ટેન્શન ઘટશે, LPG અને ગેસની અછત સામે મળશે મોટો સહારો



ફાઈલ ફોટો
ભારત સરકારનો માસ્ટર પ્લાન: હોર્મુઝનું ટેન્શન ઘટશે, LPG અને ગેસની અછત સામે મળશે મોટો સહારો



ફાઈલ ફોટો
નવી દિલ્હી: મધ્ય પૂર્વમાં વધી રહેલા તણાવ અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ જેવા સંવેદનશીલ દરિયાઈ માર્ગો પર વધતી અનિશ્ચિતતા વચ્ચે ભારત સરકારે ઉર્જા સુરક્ષા મજબૂત બનાવવા માટે બે મોટા પ્રોજેક્ટ પર ઝડપી ગતિએ કામ શરૂ કર્યું છે. સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય ગેસ આયાત માટે વિદેશી માર્ગો પરની નિર્ભરતા ઘટાડીને દેશને ઊર્જા ક્ષેત્રે વધુ આત્મનિર્ભર બનાવવાનો છે.
ઓમાનથી ગુજરાત સુધી સમુદ્રની અંદર પાઈપલાઈન
ભારત હવે ઓમાનથી ગુજરાત સુધી સીધી ડીપ-વોટર ગેસ પાઈપલાઈન બિછાવવાની તૈયારીમાં છે. “મિડલ ઈસ્ટ-ઈન્ડિયા ડીપ-વોટર પાઈપલાઈન (MEIDP)” નામના આ પ્રોજેક્ટ પર અંદાજે 40 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો છે. લગભગ 2,000 કિલોમીટર લાંબી આ પાઈપલાઈન અરબ સાગરના પેટાળમાં આશરે 3,450 મીટરની ઊંડાઈએ બિછાવવામાં આવશે, જેને વિશ્વની સૌથી ઊંડી દરિયાઈ ગેસ પાઈપલાઈન પૈકીની એક માનવામાં આવી રહી છે.
આ પાઈપલાઈન દ્વારા દરરોજ અંદાજે 31 મિલિયન સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર કુદરતી ગેસ ભારત સુધી પહોંચાડી શકાશે. પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ ભારતને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ જેવા સંવેદનશીલ માર્ગો પર ઓછી નિર્ભરતા રહેશે.
હોર્મુઝ સંકટથી મળ્યો મોટો પાઠ
ભારતમાં ગેસની માંગ સતત વધી રહી છે અને 2030 સુધીમાં તે 290 થી 300 મિલિયન સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર સુધી પહોંચે તેવી શક્યતા છે. હાલમાં દેશની મોટાભાગની ગેસ આયાત હોર્મુઝ માર્ગ પરથી થાય છે.
ફેબ્રુઆરી 2026માં ઈઝરાયલ-ઈરાન તણાવ દરમિયાન આ માર્ગ પર અસર થતાં વૈશ્વિક ગેસ સપ્લાયમાં લગભગ 20 ટકા ઘટાડો નોંધાયો હતો. તેની સીધી અસર કિંમતો પર પડી હતી અને ગેસના ભાવ 12 ડોલર પ્રતિ MMBtuથી વધીને 25 ડોલર સુધી પહોંચી ગયા હતા. નવી પાઈપલાઈનથી ભારતને વધુ સ્થિર અને સસ્તો ગેસ પુરવઠો મળી શકશે.
ચીન સામે ઊર્જા સુરક્ષાની સ્પર્ધા
ઊર્જા સુરક્ષાના મામલે ચીન હાલમાં ભારત કરતાં આગળ માનવામાં આવે છે. ચીને રશિયા અને મધ્ય એશિયા સાથે અનેક ઓવરલેન્ડ ગેસ પાઈપલાઈન વિકસાવી છે અને 2026 સુધીમાં તેની ગેસ સંગ્રહ ક્ષમતા 80 BCM સુધી પહોંચવાની ધારણા છે.
બીજી તરફ ભારત પાસે હાલ માત્ર 10થી 12 દિવસના વપરાશ જેટલો જ વ્યૂહાત્મક ગેસ સંગ્રહ છે. આવી સ્થિતિમાં ઓમાન-ભારત પાઈપલાઈન પ્રોજેક્ટ દેશ માટે વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.
કોલસામાંથી ગેસ બનાવવાનો પણ મોટો પ્લાન
કેન્દ્ર સરકારે કોલ ગેસિફિકેશન પ્રોજેક્ટને પણ મંજૂરી આપી છે. ભારત પાસે 400 અબજ ટનથી વધુ કોલસાનો જથ્થો છે, જે આગામી અનેક દાયકાઓ સુધી પૂરતો માનવામાં આવે છે.
સરકાર પ્રથમ તબક્કામાં દર વર્ષે 7.5 કરોડ ટન કોલસાને ગેસમાં રૂપાંતરિત કરવાનો લક્ષ્યાંક રાખી રહી છે. આ માટે દેશભરમાં 25 નવા પ્લાન્ટ સ્થાપવાની યોજના છે. પ્રોજેક્ટમાં અંદાજે 3 લાખ કરોડ રૂપિયાનું રોકાણ થવાની શક્યતા છે, જ્યારે સરકાર તરફથી 37,500 કરોડ રૂપિયાની સહાય આપવામાં આવશે.
કેન્દ્રીય મંત્રી Ashwini Vaishnawના જણાવ્યા અનુસાર, આ પ્રોજેક્ટથી આશરે 50 હજાર લોકોને રોજગારી મળશે.
આયાત પરની નિર્ભરતા ઘટશે
ભારત હાલમાં પોતાની LNG જરૂરિયાતનો લગભગ 50 ટકા હિસ્સો આયાત કરે છે. ઉપરાંત યુરિયાની 20 ટકા અને મેથેનોલની 90 ટકા જરૂરિયાત પણ વિદેશથી પૂરી થાય છે. કોલ ગેસિફિકેશન અને નવી ગેસ પાઈપલાઈન જેવા પ્રોજેક્ટ્સથી આગામી વર્ષોમાં આયાત પરની નિર્ભરતા નોંધપાત્ર રીતે ઘટવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.




