ગુજરાતમાં સાયબર ફ્રોડ સામે મોટું પગલું: હવે 1930 પર કોલ કરતાં જ ઓનલાઈન e-Zero FIR, પોલીસ સ્ટેશન જવાની જરૂર નહીં



ગુજરાતમાં સાયબર ફ્રોડ સામે મોટું પગલું: હવે 1930 પર કોલ કરતાં જ ઓનલાઈન e-Zero FIR, પોલીસ સ્ટેશન જવાની જરૂર નહીં



ગુજરાતમાં સાયબર ફાઇનાન્સિયલ ફ્રોડનો ભોગ બનતા નાગરિકોને ઝડપી અને સરળ ન્યાય મળે તે માટે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ પહેલ કરી છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગર ખાતે e-Zero FIR સેવાનો પ્રારંભ કરાવ્યો છે. હવે સાયબર છેતરપિંડીનો ભોગ બનનાર વ્યક્તિએ ફરિયાદ નોંધાવવા માટે પોલીસ સ્ટેશનના ધક્કા ખાવાની જરૂર નહીં રહે. માત્ર 1930 સાયબર હેલ્પલાઇન પર ફરિયાદ નોંધાવતાં જ સિસ્ટમ દ્વારા ઓટોમેટિક e-Zero FIR જનરેટ થશે અને ગુજરાત સહિત દેશના સંબંધિત પોલીસ સ્ટેશન સુધી ફરિયાદ મોકલવામાં આવશે.
સાયબર ફાઇનાન્સિયલ ફ્રોડની ફરિયાદ મળ્યા બાદ સંબંધિત પોલીસ અધિકારીઓ ફરિયાદીનો સંપર્ક કરીને જરૂરી વિગતો મેળવશે અને કાયદાકીય પ્રક્રિયા મુજબ FIR નોંધીને તાત્કાલિક તપાસ શરૂ કરશે. આ વ્યવસ્થાથી ફરિયાદ પર કાર્યવાહીનો સમય ઘટવાની સાથે છેતરપિંડીમાં ગુમાવેલી રકમ ઝડપથી ફ્રીઝ અથવા પરત મેળવવાની શક્યતા પણ વધશે.
સેવાની અસરકારકતા લોન્ચિંગ પહેલાં જ જોવા મળી હતી. અમદાવાદના એક રહેવાસી ડિજિટલ અરેસ્ટના નામે સાયબર ફ્રોડનો ભોગ બન્યા બાદ ગુજરાતની પ્રથમ e-Zero FIR નોંધાઈ હતી. સાયબર ક્રાઇમ વિભાગે ઝડપી કાર્યવાહી કરીને ₹15.76 લાખથી વધુની રકમ બચાવવામાં સફળતા મેળવી હતી.
સાયબર સેન્ટર ઓફ એક્સિલન્સના IGP બિપિન આહીરે જણાવ્યું કે કેન્દ્રીય ગૃહ મંત્રાલયના Indian Cyber Crime Coordination Centre (I4C) સાથે સંકલન કરીને આ વ્યવસ્થા અમલમાં મૂકાઈ છે. 1930 પર મળતી ફરિયાદના આધારે સિસ્ટમ આપોઆપ Zero FIR જનરેટ કરીને સંબંધિત પોલીસ સ્ટેશનને મોકલશે.
હર્ષ સંઘવીએ જણાવ્યું કે ટેક્નોલોજીના ઉપયોગથી નાગરિકોને ઝડપી, સરળ અને પારદર્શક પોલીસ સેવા આપવાનો સરકારનો પ્રયાસ છે. e-Zero FIRથી નાગરિકો ઘરબેઠાં ફરિયાદ નોંધાવી શકશે અને સાયબર ફ્રોડમાં ગુમાવેલી રકમ બચાવવાની શક્યતા વધશે.






