નારણપુરામાં વહેલી સવારે ગેસ સિલિન્ડર બ્લાસ્ટથી હાહાકાર, 4થી 5 લોકો ગંભીર રીતે દાઝ્યા



નારણપુરામાં વહેલી સવારે ગેસ સિલિન્ડર બ્લાસ્ટથી હાહાકાર, 4થી 5 લોકો ગંભીર રીતે દાઝ્યા



અમદાવાદના નારણપુરા વિસ્તારમાં આજે વહેલી સવારે ગેસ સિલિન્ડર બ્લાસ્ટની ગંભીર ઘટના સામે આવી છે, જેના કારણે વિસ્તારમાં ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, રાત્રિના સમયે ઘરમાં ગેસનું રેગ્યુલેટર બંધ કરવાનું રહી જતાં ગેસ લીકેજ થયું હતું અને સવારે અંદાજે 5 વાગ્યે અચાનક જ જોરદાર બ્લાસ્ટ થયો હતો.
ઘટના સમયે ઘરના 4થી 5 સભ્યો ઊંઘમાં હતા, જેના કારણે તેઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને કેટલાક લોકો દાઝી ગયા હતા. બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે ઘરની અંદરની મોટાભાગની વસ્તુઓને આગ લાગી અને ઘરનું મોટું નુકસાન થયું હતું. ઉપરાંત, આસપાસના મકાનોના બારીઓ અને દરવાજાના કાચ તૂટી જતા પાડોશીઓમાં પણ ભયનો માહોલ ફેલાયો હતો.
બ્લાસ્ટનો અવાજ સાંભળતા જ આસપાસના લોકો તરત જ પોતાના ઘરોમાંથી બહાર દોડી આવ્યા અને પીડિતોને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી, જેના પગલે ઘાયલોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવા માટે કામગીરી હાથ ધરી હતી. આગ પર નિયંત્રણ મેળવી લેવાયું હતું, પરંતુ બ્લાસ્ટના કારણે ઘરની અંદરની અનેક વસ્તુઓ બળી ને ખાખ થઈ ગઈ હતી.
આ સાથે જ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં ગેસ લીકેજને કારણે બ્લાસ્ટ થયો હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ ઘાયલોના સારવાર ચાલી રહી છે અને તેમની સ્થિતિ અંગે વધુ માહિતી મેળવવામાં આવી રહી છે.




