અમદાવાદ ટ્રાફિક પર એક્શન મોડ: કમિશનર મલિકે પશ્ચિમ વિસ્તારમાં લીધી સ્થિતિની સમીક્ષા



અમદાવાદ ટ્રાફિક પર એક્શન મોડ: કમિશનર મલિકે પશ્ચિમ વિસ્તારમાં લીધી સ્થિતિની સમીક્ષા



શહેરમાં વધતી ટ્રાફિક સમસ્યાને ઉકેલવા માટે પોલીસ તંત્ર સક્રિય બન્યું છે. આજ રોજ પોલીસ કમિશનર જી.એસ. મલિક દ્વારા શહેરના પશ્ચિમ વિસ્તારના મહત્વપૂર્ણ જંકશન પેલેડિયમ મોલ ચાર રસ્તાની મુલાકાત લેવામાં આવી હતી.
આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ ટ્રાફિક વ્યવસ્થાને વધુ સુવ્યવસ્થિત બનાવવાનો અને નાગરિકોને ટ્રાફિકમાંથી રાહત આપવાનો છે. પોલીસ કમિશનરે સ્થળ પર જઈને ટ્રાફિકની હાલની પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું અને સ્થાનિક પોલીસ તથા ટ્રાફિક અધિકારીઓ સાથે ચર્ચા કરી જરૂરી સૂચનાઓ આપી.
ઉલ્લેખનીય છે કે, અગાઉ શહેરના પિરાણા સર્કલ, નારોલ સર્કલ અને કોઝી હોટલ આસપાસના વિસ્તારોમાં ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે લેવાયેલા પગલાં સફળ સાબિત થયા છે. આ વિસ્તારોમાં ટ્રાફિકના દબાણમાં ઘટાડો નોંધાયો છે, જેને ધ્યાનમાં રાખીને હવે પશ્ચિમ વિસ્તારમાં પણ તેવા જ પ્રયાસો હાથ ધરવામાં આવશે.
પેલેડિયમ મોલ ચાર રસ્તા પર ખાસ કરીને પીક અવર્સ દરમિયાન ભારે વાહન વ્યવહારને કારણે ટ્રાફિક જામની સમસ્યા ઊભી થાય છે. તેને ધ્યાનમાં રાખીને ટ્રાફિક ડાયવર્ઝન, સિગ્નલ ટાઈમિંગમાં ફેરફાર અને પોલીસની વધારાની તૈનાતી જેવા પગલાં લેવામાં આવશે.
પોલીસ કમિશનર જી.એસ. મલિકે જણાવ્યું કે, શહેરમાં ટ્રાફિકની સમસ્યાનો તબક્કાવાર ઉકેલ લાવવામાં આવશે અને નાગરિકોને સરળ અને સુરક્ષિત મુસાફરી મળી રહે તે માટે સતત પ્રયત્નો કરવામાં આવશે.
“સુરક્ષા માટે સજ્જ શહેર પોલીસ”ના સંકલ્પ સાથે અમદાવાદ પોલીસ ટ્રાફિક વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે પ્રતિબદ્ધ હોવાનું ફરી એકવાર સ્પષ્ટ થયું છે.




