અમદાવાદમાં વિધવા મહિલાની લારી જપ્ત થતાં કચેરી બહાર હંગામો



અમદાવાદમાં વિધવા મહિલાની લારી જપ્ત થતાં કચેરી બહાર હંગામો



અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા રાયપુર દરવાજા વિસ્તારમાં ફ્રૂટની લારી ચલાવતા વિધવા મહિલા આરતીબેનની લારી જપ્ત કરવામાં આવતા ભારે વિવાદ સર્જાયો છે.
લારી છોડાવવા માટે આરતીબેન દાણાપીઠ કચેરીના ઓટલા પર બેસીને સતત વિનંતી કરતી રહી, પરંતુ અધિકારીઓએ તેમની વાત સાંભળવાની તસ્દી ન લીધી હોવાનો આક્ષેપ છે.
તંત્રના વલણથી વ્યથિત મહિલાએ કડક શબ્દોમાં કહ્યું કે, “જો લારી નહીં મળે તો કાલથી પોલીસ ચોકી સામે દારૂ વેચવાનો ધંધો શરૂ કરી દઈશ.” આ નિવેદન બાદ મામલો વધુ ગરમાયો છે.
મહિલાનો આક્ષેપ છે કે શહેરમાં ગેરકાયદેસર ધંધા ચલાવનારાઓ અને હપ્તા આપનારાઓ સામે કોઈ કાર્યવાહી થતી નથી, જ્યારે પ્રામાણિક રીતે જીવન જીવતા ગરીબ લોકોને હેરાન કરવામાં આવે છે.
ઘટના સમયે ડેપ્યુટી કમિશનર ત્યાંથી પસાર થયા હોવા છતાં મહિલાની વાત સાંભળ્યા વગર તેઓ ઓફિસમાં ચાલ્યા ગયા હતા, જ્યારે સિક્યુરિટી ગાર્ડે પણ મહિલાને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો.
પતિના અવસાન બાદ પાંચ સંતાનોની જવાબદારી સંભાળતી આરતીબેન માટે આ લારી આવકનો એકમાત્ર આધાર હતી. છેલ્લા બે મહિનાથી લારી જપ્ત હોવાથી પરિવાર પડોશીઓના સહારે જીવન ગુજારી રહ્યો છે.
મામલો બિચકતા 112 જનરક્ષક અને કારંજ પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી અને રડતી મહિલાને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો.




