ઓપરેશન ટાઇગર વચ્ચે ઉદ્ધવ ઠાકરેની દિલ્હીમાં મહત્વપૂર્ણ બેઠક, બે બાગી સાંસદો જોડાય તેવી શક્યતા



ઓપરેશન ટાઇગર વચ્ચે ઉદ્ધવ ઠાકરેની દિલ્હીમાં મહત્વપૂર્ણ બેઠક, બે બાગી સાંસદો જોડાય તેવી શક્યતા



મહારાષ્ટ્રની રાજનીતિમાં ચર્ચાસ્પદ બનેલા 'ઓપરેશન ટાઇગર' વચ્ચે શિવસેના (UBT) પ્રમુખ ઉદ્ધવ ઠાકરે પક્ષના સાંસદો અને ધારાસભ્યોને એકજૂટ રાખવા માટે સક્રિય બન્યા છે. આ સંદર્ભે આજે સવારે 11 વાગ્યે દિલ્હીમાં સ્થિત શિવસેના (UBT)ના સંસદ કાર્યાલયમાં મહત્વપૂર્ણ બેઠક બોલાવવામાં આવી છે.
પાર્ટી સૂત્રોના જણાવ્યા મુજબ, બાગી વલણ અપનાવ્યાની ચર્ચામાં રહેલા 6 સાંસદોમાંથી 2 સાંસદો હજુ પણ પક્ષના નેતૃત્વના સંપર્કમાં છે. આ બંને સાંસદો આજની બેઠકમાં હાજરી આપે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. તેથી આ બેઠક પર રાજકીય વર્તુળોની ખાસ નજર છે.
સંભવિત રાજકીય ઉથલપાથલને ધ્યાનમાં રાખીને ઉદ્ધવ ઠાકરેએ ધારાસભ્યો સાથે પણ સીધો સંપર્ક શરૂ કર્યો છે. આ માટે 22 જૂને મુંબઈ સ્થિત શિવાલય કાર્યાલયમાં સાંજે 4 વાગ્યે ધારાસભ્યોની બેઠક બોલાવવામાં આવી છે. માનવામાં આવે છે કે પક્ષમાં સંભવિત ફૂટને અટકાવવા અને સંગઠનને મજબૂત રાખવા માટે આ બેઠકો અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે.
બીજી તરફ, બુધવારે શિવસેના (UBT)ના કેટલાક બાગી સાંસદોએ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને મળીને પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. બાગી જૂથે દાવો કર્યો છે કે તેમને લોકસભામાં પક્ષના 9માંથી 6 સાંસદોનું સમર્થન પ્રાપ્ત છે. સૂત્રોના જણાવ્યા મુજબ, બાગી સાંસદો ટૂંક સમયમાં લોકસભા અધ્યક્ષ સાથે ઔપચારિક બેઠક કરીને અલગ ગઠ તરીકે માન્યતા મેળવવા તેમજ મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી એકનાથ શિંદેના નેતૃત્વવાળી શિવસેનામાં વિલયની માંગ કરી શકે છે.
આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે ઉદ્ધવ ઠાકરે માટે આજની દિલ્હી બેઠક અને 22 જૂનની મુંબઈ બેઠક રાજકીય રીતે નિર્ણાયક માનવામાં આવી રહી છે.




