રાજકોટના 8 વર્ષ જૂના બ્લાઇન્ડ મર્ડર કેસનો ભેદ ઉકેલાયો: બાળ મજૂરની હત્યા બાદ શરીરના ટુકડા કરી આજી નદીમાં ફેંકી દીધું હતું માથું



રાજકોટના 8 વર્ષ જૂના બ્લાઇન્ડ મર્ડર કેસનો ભેદ ઉકેલાયો: બાળ મજૂરની હત્યા બાદ શરીરના ટુકડા કરી આજી નદીમાં ફેંકી દીધું હતું માથું



રાજકોટ: શહેરના સૌથી ચકચારી અને વર્ષોથી વણઉકેલ રહેલા કેસોમાંના એક એવા આજી નદીમાંથી મળેલા ધડ વગરના માથાના રહસ્યનો અંતે પર્દાફાશ થયો છે. આઠ વર્ષ પહેલાં આજી નદીના પટમાંથી મળી આવેલા બાળકના કપાયેલા માથા પાછળની હકીકત રાજકોટ શહેર પોલીસે ઉકેલી કાઢી છે. તપાસમાં સામે આવ્યું છે કે પશ્ચિમ બંગાળથી લાવવામાં આવેલા એક બાળ મજૂરની ઠેકેદારે અમાનુષી અત્યાચાર બાદ હત્યા કરી હતી.
પોલીસ તપાસ મુજબ, પશ્ચિમ બંગાળના બાળકને કામ માટે રાજકોટ લાવવામાં આવ્યો હતો. કામ ન કરતો હોવાના આક્ષેપ સાથે ઠેકેદાર અજીત મૌલા આજમત મૌલાએ બાળક પર અત્યાચાર ગુજાર્યો હતો. બાદમાં બાળકનું મોત થતાં પોતાનું પાપ છુપાવવા અને પુરાવાનો નાશ કરવા માટે તેના શરીરના અલગ-અલગ ટુકડા કરી નાખ્યા હતા. બાળકનું માથું આજી નદીના પટમાં ફેંકી દેવામાં આવ્યું હતું, જે વર્ષ 2018 દરમિયાન મળી આવ્યું હતું.
આ કેસમાં મહત્વનો વળાંક ત્યારે આવ્યો જ્યારે રાજકોટ પોલીસ દ્વારા બાળ મજૂરોને મુક્ત કરાવી પશ્ચિમ બંગાળ મોકલવામાં આવ્યા હતા. તે દરમિયાન એક પરિવારે પોલીસને જાણ કરી હતી કે મુક્ત કરાયેલા 19 બાળકોમાં તેમનો દીકરો નથી અને તેને વર્ષો પહેલાં એક ઠેકેદાર કામ માટે લઈને ગયો હતો. આ માહિતીના આધારે પોલીસે તપાસનો દોર આગળ વધાર્યો હતો.
તપાસ દરમિયાન કલકત્તાની જેલમાં અન્ય ગુનામાં બંધ અજીત મૌલાની પૂછપરછ કરવામાં આવતા તેણે બાળ મજૂરની હત્યા કરી હોવાની કબૂલાત આપી હતી. હવે રાજકોટ શહેર પોલીસ ટ્રાન્સફર વોરંટના આધારે તેની સત્તાવાર ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી રહી છે.
પોલીસ દ્વારા મૃતક બાળકના પરિવારના DNA સેમ્પલ મેળવી મેચિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. DNA રિપોર્ટ આવ્યા બાદ આરોપી સામે હત્યા, પુરાવાનો નાશ અને અન્ય ગંભીર કલમો હેઠળ સત્તાવાર ગુનો નોંધવામાં આવશે.




