રાજકોટના 8 વર્ષ જૂના ‘ધડ વગરના માથા’ના કેસનો ભેદ ઉકેલાયો, બાળ મજૂરી માટે લાવેલા બાળકની કરાઈ હતી હત્યા



રાજકોટના 8 વર્ષ જૂના ‘ધડ વગરના માથા’ના કેસનો ભેદ ઉકેલાયો, બાળ મજૂરી માટે લાવેલા બાળકની કરાઈ હતી હત્યા



રાજકોટ રાજકોટના રૂખડીયાપરા વિસ્તારમાં વર્ષ 2018માં આજી નદીમાંથી મળેલા ધડ વગરના માથાના ચકચારી કેસનો આખરે 8 વર્ષ બાદ ભેદ ઉકેલાયો છે. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે પશ્ચિમ બંગાળના 14 વર્ષીય બાળકને બાળ મજૂરી માટે રાજકોટ લાવવામાં આવ્યો હતો અને બાદમાં તેની હત્યા કરવામાં આવી હતી.
વર્ષ 2025માં સોની બજારમાં બાળ મજૂરી અંગે SOG દ્વારા પાડવામાં આવેલા દરોડા દરમિયાન આરોપી અજિતમૌલા અઝમતમૌલાના કબજામાંથી 20 જેટલા બાળ મજૂરોને મુક્ત કરાવવામાં આવ્યા હતા. તે દરમિયાન એક પરિવારે પોતાના ગુમ થયેલા બાળક અંગે માહિતી આપતાં તપાસનો દોર શરૂ થયો હતો.
રાજકોટ પોલીસના જોઈન્ટ પોલીસ કમિશનર Chaitanya Mandlikના જણાવ્યા મુજબ, વર્ષ 2018માં મળેલા DNA સેમ્પલ અને બાળકના માતા-પિતાના DNA સેમ્પલનું મેચિંગ કરવામાં આવ્યું હતું. FSL રિપોર્ટ પોઝિટિવ આવતા મૃતકની ઓળખ થઈ હતી.
તપાસમાં સામે આવ્યું છે કે આરોપી સોની બજારમાં બાળકો પાસે દાગીના બનાવવાની મજૂરી કરાવતો હતો. મૃતક બાળક વતન પરત જવા અને મજૂરીના પૈસાની માંગણી કરતો હોવાથી આરોપીએ તેને માર માર્યો હતો, જેના કારણે તેનું મોત થયું હતું. બાદમાં ઓળખ છુપાવવા માટે બાળકનું માથું ધડથી અલગ કરી આજી નદીમાં ફેંકી દીધું હતું.
હાલ પોલીસે આરોપીને રાજકોટ જેલમાંથી કસ્ટડીમાં લઈને વધુ પૂછપરછ શરૂ કરી છે અને સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે.




